Select Page

ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર

ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર

પાલિકા, મામલતદાર, પ્રાંત અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના ત્રાસથી કંટાળી

ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકામાં ર૦૧૪થી સાંઈબાબા મંદિરથી એક કીમી અંબાજી તરફ હાઈવે ઉપર ડામર મિક્ષ પ્લાન્ટ અને કવોરી આવેલી છે આ પ્લાન્ટની ડસ્ટના કારણે આજુબાજુના જમીન માલિકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે ચાલુ વિધાનસભાની પેટા ચુંટણીમાં પણ પાલિકા તંત્ર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને પ્રદુષણ નિયંત્રણ વિભાગની મીલીભગતથી ખેડુતોનો પ્રશ્ન આંધળી અને બહેરી ગુજરાત સરકારને દેખાતો કે સંભાળતો નથી તેવુ ખેડુતોએ જણાવી ચાલુ ચુંટણીનો બહિષ્કાર કરી આજીવન ચુંટણીનો બહિષ્કાર ૩૦૦ ઉપરાંત ખેડુતોએ જાહેર કર્યા છતા સરકારી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવી નથી. તેનાથી વિશેષ કરૂણતા ગુજરાતની ભાજપ સરકારની કઈ હોઈ શકે ? હાલ ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી ચાલી રહી છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ, વર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, માજીગૃહમંત્રી સહિત મંત્રીઓ અને ધારાસભ્યોની ફોજ ખેરાલુમાં સ્પાન બજાર ખાતે ઉતરી પડી છે. હાલના સાંસદ રાજ્ય સભાના સાંસદ અને પુર્વ સાંસદો, પુર્વ ધારાસભ્યો દરરોજ લોકો સુધી જઈને ભાજપને વોટ આપવા મનાવી રહ્યા છે. પરંતુ ખેરાલુથી બે કી.મી.દુર હાઈવે ઉપર વસતા ૩૦૦ ખેડુત મતદારોની તકલીફ સાંભળવાનો સમય નથી જેથી ૧પ-૧૦-ર૦૧૦ના રોજ હાઈવે ઉપરનો ડામર મિક્ષ પ્લાન્ટ બંધ કરાવવા ચૌધરી અશોકભાઈ મુળજીભાઈએ અરજી પ્રાંત અધિકારીને કરી હતી. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે સીમમાં વસતા ખેડુતો પશુપાલન, ખેતીવાડી અને મંજુરી કરી ગુજરાન ચલાવે છે. ર૦૧૪માં શરૂ થયેલી વિશાલ ઈન્ફો ગ્લોબલ પ્રાઈવેટ લીમીટેડ ડામર મીક્ષ પ્લાન્ટ ખેડુતોની રજુઆતોને ઠુકરાવી અને એન.ઓ.સી.આપી પ્લાન્ટ ચાલુ કરાવી દીધો. આ કંપનીએ સરકારની વિવિધ ખાતાઓને આપેલી બાહેધરીઓનું સદંતર ઉલ્લંધન કરી સદર પ્લાન્ટ ઉંચા ધડાકા વાળા અવાજથી તેમજ ઝેરી રસાયણ યુક્ત વાયુ તેમજ ઝેરી ડસ્ટથી પ્લાન્ટ દિવસ રાત ચાલુ રાખી ખેડુતો, પશુઓની જીંદગી જોખમમાં મુકી છે. સતત ધુમાડાથી શ્વાસ, દમ, હૃદયની બિમારીઓ ખેડુતોને લાગુ પડી છે. ઉભા પાકો ઉપર ડસ્ટ ફેલાતા પાકને નુકશાન થાય છે. ખેડુતો આર્થિક અને શારીરીક રીતે પાયમાલ થયા છે. સ્થાનિક કચેરીઓથી ઉચ્ચ કક્ષા સુધી વારંવાર લેખીત જાણ કરી છે. છતા કોઈ કાર્યવાહી થતી નથી. આ પ્લાન્ટના માલિકો ગેરકાયદેસર રીતે પાલિકાની ગૌચરની જમીન પચાવી પાડી છે. પાલિકા વાંરવાર આ જમીન છોડાવવા નાટકો કરે છે. આવા અનેક પ્રશ્નોથી કંટાળી ૩૦૦ ખેડુતોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યા છે. છતા ભાજપના નેતાઓ ખેડુતો પાસે પહોચ્યા નથી તે એક વાસ્તવિકતા છે. તંત્રએ ખેડૂતોના રસ્તા રોકો જેવા આંદોલનના કારણે સીલ કરવાનું નાટક કર્યુ હતું. જોઈએ ચુંટણી પછી ક્યારે સીલ ખુલે છે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us