Select Page

વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ વધ્યા-અઠવાડીયામાં ચાર કેસ

વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ વધ્યા-અઠવાડીયામાં ચાર કેસ

મે મહિનાના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધી કુલ ૧૨ કેસ નોધાયા

વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ વધ્યા-અઠવાડીયામાં ચાર કેસ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા બારે પહોચી છે. જેમાં છેલ્લા એકજ અઠવાડીયામાં ચાર કેસ નોધાતા શહેર કોરોના વાયરસના પીક સમયનો સામનો કરી રહ્યુ છે. જેમાં બે વડનગર હોસ્પિટલમાં અને એક અમદાવાદ સીમ્સમાં સારવાર લઈ રહ્યા છે. સંક્રમણની હિસ્ટ્રીમાં એક સંક્રમીતના સંપર્કમાં આવતા, બીજા નોકરી અર્થે સાણંદ અવરજવર કરતા તથા ત્રીજા અને ચોથા પોઝીટીવની હિસ્ટ્રી નહી મળતા ભારે ચીંતા સતાવી રહી છે. આ સમયમાં લોકો સાવચેતી રાખે તે ખુબજ જરૂરી છે.
વિસનગરમાં અગાઉ અઠવાડીયામાં એક કોરોના પોઝીટીવ કેસ જોવા મળતો હતો. હવે સંક્રમણ વધતા અઠવાડીયામાં ચાર કેસ નોધાતા કોરોના કહેરથી ભારે ગભરાટનો માહોલ ઉભો થયો છે. મહેસાણા રોડ ઉપર આવેલ શ્રીજી એક્વા ફ્લેટના ડી બ્લોકમાં રહેતા બીપીનભાઈ ચીમનલાલ શાહને છેલ્લા ચારેક દિવસથી તાવ આવતા તેમનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. સેમ્પલ કોરોના પોઝીટીવ આવતા તા.૧૪-૬ ની રાત્રે વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના પોઝીટીવ આવતા તથા ફ્લેટમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં પુરાઈ રહેવુ ન પડે તેવા ડરથી રાત્રેજ ફ્લેટના કેટલાક લોકો વાહનોમાં સામાન ભરી નીકળી ગયા હતા. જે બાબતે ભારે ચકચાર જાગી હતી. સંતોષનગરમાં રહેતા બાદલ ઈન્ડસ્ટ્રીઝવાળા મહેન્દ્રભાઈ શાહને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના અઠવાડીયામાં તેમના નાના ભાઈ બીપીનભાઈ શાહ કોરોના સંક્રમીત થયા હતા. જાણવા મળ્યા પ્રમાણે બાદલ ઈન્ડસ્ટ્રીઝની જી.આઈ.ડી.સી.ની ઓફીસમાં બીપીનભાઈ શાહની અવરજવર હતી. જેના કારણે સંક્રમીત થયા હોવાની શક્યતા જોવાઈ રહી છે. આ પોઝીટીવ કેસથી જી.આઈ.ડી.સી.માં પણ ભારે ગભરાટ ફેલાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ડી બ્લોકમાં દરેકનુ સ્ક્રીનીંગ, સર્વે અને દવાઓનુ વિતરણ કરાયુ હતુ. શુ સાવચેતી રાખવાની તેની સમજ અપાઈ હતી. પાલિકા દ્વારા સેનેટાઈઝ કરાયુ હતુ.
શ્રીજી એક્વા ફ્લેટમાં પોઝીટીવના બે દિવસ બાદ વિસનગરના પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસાના ભત્રીજા અને મનુભાઈ ગોસાના પુત્ર દિલીપભાઈ પટેલને છેલ્લા બે દિવસથી તાવ આવતા સ્થાનિક ર્ડાક્ટરો પાસે સારવાર કરાવી હતી. ન્યુમોનીયાની અસર લાગતા તેમને અમદાવાદ જાયડસમાં દાખલ કરી ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટ કરાયુ હતુ. જેમાં કોરોના પોઝીટીવ આવતા સીમ્સ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. દિલીપભાઈ પટેલ કઈ રીતે સંક્રમીત થયા તેની હીસ્ટ્રી નહી મળતા તે ચીંતાનો વિષય છે. જેઓ શાકભાજીનુ હોલસેલનો ધંધો કરતા હોવાથી બહારથી શાકભાજી લઈ આવનારથી સંક્રમીત થયા હોવાની શક્યતા છે. જેઓ સંક્રમીત થતા શાકભાજી હોલસેલ માર્કેટમાં પણ કોરોના સંક્રમણનો ભય ફેલાયો હતો. આરોગ્ય વિભાગ, પાલિકા અને પોલીસની ટીમે દિલીપભાઈ પટેલના નિવાસ્થાન વિસ્તારની તાત્કાલીક મુલાકાત લઈ સંક્રમણ વધે નહી તે માટેની કાર્યવાહી કરી હતી.
વિજયપરામાં પોઝીટીવ કેસના બે દિવસ બાદ કાંસા એન.એ.ગણેશનગર સોસાયટીમાં પોઝીટીવ કેસની સાથે એન.એ.વિસ્તારમાં પ્રથમવાર કેસ જોવા મળ્યો હતો. ગણેશનગર સોસાયટીમાં રહેતા દક્ષેશભાઈ જનકભાઈ સુથાર સાણંદ ફેક્ટરીમાં સર્વિસ કરતા હોઈ તા.૧૩-૬ ના રોજ વિસનગર આવ્યા હતા. જેમને તાવ, શરદી, ઉધરસ થતા વિસનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમણે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાયો હતો. કોરોના પોઝીટીવ આવતા તા.૧૯-૬ ના રોજ સવારે ૧૦૮ દ્વારા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી બી.એસ.સથવારા, તાલુકા વિસ્તરણ અધિકારી પંકજભાઈ મોદી, બાબુભાઈ ચૌધરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડા.જીજ્ઞેશભાઈ પટેલ, સરપંચના પતિ રાજુભાઈ પરમાર વિગેરે ગણેશનગર સોસાયટીમાં આવી સ્ક્રીનીંગ, સર્વે, દવાનુ વિતરણ, દવાનો છંટકાવ વિગેરે કામગીરી હાથ ધરી હતી. કોરોના પોઝીટીવ મકાન પાસેના પાંચ મકાન કન્ટેન્મેન્ટ કરાયા હતા. જે મકાનોમાં એન.એ.પંચાયતના સરપંચ અમીષાબેન પટેલના પતિ રાજુભાઈ પરમારે તમામ સુવિધાઓ પુરી પાડી હતી.
કાંસા એન.એ.ગણેશનગર સોસાયટીમાં પોઝીટીવ કેસના બીજા દિવસે એમ.એન.કોલેજ રોડથી ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં પોઝીટીવ કેસ નોધાતા ફરીથી આ વિસ્તારમાં કોરોનાનો ભય ફેલાયો છે. અગાઉ આ વિસ્તારમાં કર્મભુમી સોસાયટીમાં પોઝીટીવ કેસ નોધાયા બાદ ફરીથી વધુ એક પોઝીટીવ કેસ અર્બુદાનગર સોસાયટીમાં જોવા મળ્યો છે. સોસાયટીના રહીશ અને ધરોઈ કોલોની રોડ ઉપર કભી બી બેકરીવાળા અપૂર્વભાઈ જગન્નાથભાઈ પટેલને ત્રણ દિવસ પહેલા શરદી, તાવની તકલીફ થતાં વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી હિંમતનગર જીએમઈઆરઈ મેડીકલ કોલેજમાં સારવાર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સેમ્પલ લેવામાં આવતા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. હાલ હિંમતનગર મેડીકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા છે. અપૂર્વભાઈ પટેલ પોતાની કભી બી દુકાનમાં કે બહાર સંક્રમીત થયા છે તેની હીસ્ટ્રી મેળવવા આરોગ્ય વિભાગ પ્રયત્નો કરી રહ્યુ છે. આરોગ્ય, પાલિકા તથા પોલીસ ટીમે આસપાસ વિસ્તારમાં સંક્રમણ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us