Select Page

વિસનગર નૂતન જનરલમાં ૧૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ થશે

વિસનગર નૂતન જનરલમાં ૧૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ થશે

સંક્રમણના કેસ વધતા વધારે બેડની જરૂરીયાત ઉભી થશે

વિસનગર નૂતન જનરલમાં ૧૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ થશે

મહેસાણા જીલ્લામાં મહેસાણા સાંઈ ક્રિષ્ના, વડનગર મેડિકલ હોસ્પિટલ બાદ નૂતન જનરલમા ત્રીજી હોસ્પિટલ શરૂ થશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના પોઝીટીવના કેસ વધતા જાય છે. લોકોને કોવીડ-૧૯ની સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલો વધે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિસનગર નૂતન જનરલ હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલની મંજુરી મળતા આ અઠવાડીયામાં ૧૫૦ બેડની હોસ્પિટલ શરૂ થઈ જશે. કોવીડ-૧૯ ટેસ્ટ માટેના લેબોરેટરીના સાધનો પણ ત્રણેક દિવસમાં હોસ્પિટલમા આવી જશે. જેથી ટેસ્ટીંગ લેબોરેટરી પણ શરૂ થઈ જશે. તેવું ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છે.
કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે. રોજે રોજ કેસની સંખ્યા વધતા હાલ જે કોવીડ-૧૯ની હોસ્પિટલ છે તેમાં બેડ ઓછા પડી રહ્યા છે. કોવીડ-૧૯ની નવી હોસ્પિટલો શરૂ કરવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિસનગર નૂતન મેડીકલ હોસ્પિટલની ૩૦૦ બેડની નૂતન જનરલ હોસ્પિટલ આધુનિક સગવડો, સ્વચ્છતા તથા હવા ઉજાસ ધરાવતી હોઈ સરકાર દ્વારા આ હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલનો એગ્રીમેન્ટ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં કોવીડ-૧૯ની સારવાર માટે ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. શનિવાર-રવિવાર સુધીમાં એગ્રીમેન્ટ થઈ જશે તો આજ સોમવારથી નૂતન જનરલમાં ૧૫૦ બેડની કોરોના પોઝીટીવ સારવાર માટેની હોસ્પિટલ શરૂ થઈ જશે. મહેસાણા જીલ્લામાં મહેસાણા સાંઈ ક્રિષ્ના તથા વડનગર મેડિકલ કોલેજની હોસ્પિટલમા કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરવામાં આવે છે. પરંતુ સંક્રમણ વધતા આ બન્ને હોસ્પિટલમાં હવે વધુ બેડની વ્યવસ્થા નહી હોવાથી નૂતન જનરલમાં કોવીડ-૧૯ ની હોસ્પિટલ તાત્કાલીક શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
આ બાબતે એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, સરકારે એગ્રીમેન્ટ માટે બોલાવ્યા છે. સરકાર મંજુરી આપશે તેના બીજાજ દિવસથી એટલેકે સોમવારથી નૂતન જનરલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવાનુ આયોજન છે. કોરોના સંક્રમીત દર્દિઓની સારવાર માટે ર્ડાક્ટર, તમામ સ્ટાફ, સપોર્ટીંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નૂતન જનરલ હોસ્પિટલમાં વર્લ્ડ બેસ્ટ ડ્રેગર કંપનીનુ રૂા.૭.૫૦ લાખની કિંમતનુ એક એવા પાંચ વેન્ટીલેટર મશીન છે. જેમાંથી ત્રણ વેન્ટીલેટર મશીન કોવીડ-૧૯ હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યા છે. પ્રકાશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, કોવીડ-૧૯ ટેસ્ટ માટેની લેબોરેટરી જૂન એન્ડમાં શરૂ કરવાની હતી. પરંતુ મશીન ડીલેવરી લેટ થવાના કારણે લેબોરેટરી શરૂ થઈ શકી નથી. લેબોરેટરી માટે અન્ય તમામ સુવિધાઓ અને સગવડોનુ આયોજન થઈ ગયુ છે. મંગળવારના દિવસે ટેસ્ટ લેબના મશીન આવી ગયા બાદ સરકારની મંજુરી લઈ તાત્કાલીક ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવશે. કોરોના સેમ્પલના ટેસ્ટલેબ પણ આજ અઠવાડીયામાં શરૂ થઈ જશે.
વિસનગરમાં કોરોનાએ અડધી સદી વટાવી દીધી છે. ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ થતા વિસનગર પંથકના લોકોને હવે ઘર આંગણેજ કોરોનાની સારવાર મળી રહેશે. સરકાર દ્વારા નૂતન જનરલ હોસ્પિટલ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવનાર છે. ત્યારે નૂતન જનરલની કોવીડ-૧૯ ની સારવાર માટે દર્દિને કોઈ પણ ચાર્જ આપવાનો રહેશે નહી. કોરોનાની સારવાર વિનામુલ્યે મળશે. આરોગ્ય વિભાગ સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યા પ્રમાણે આખી નૂતન જનરલ હોસ્પિટલ કોવીડ-૧૯ ની હોસ્પિટલ બનાવવાનુ વિચારણામાં છે. જેમાં હોસ્પિટલના તમામ ૩૫૦ બેડ કોરોના દર્દિઓની સારવાર માટે ફળવાશે. જેથી નૂતન જનરલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં એકાદ અઠવાડીયાનો વિલંબ પણ શક્ય છે. વિસનગર પંથકની લોકોને ઘર આંગણે કોરોનાની સારવાર મળે તે માટે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળ જે પ્રયત્નો કરી રહ્યુ છે તે સરાહનીય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts