Select Page

હીટવેવમાં જિલ્લા વહીવટી તંત્ર-ડિઝાસ્ટર શાખા દ્વારા સૂચનો કરાયા

હીટવેવમાં જિલ્લા વહીવટી તંત્ર-ડિઝાસ્ટર શાખા દ્વારા સૂચનો કરાયા

બપોરે ૧૨-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવુ નહી

મહેસાણા
રાજ્યમાં ગરમી અને તાપથી જિલ્લા વાસીઓ અને નાગરિકો અકળાઈ ઊઠ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા વાસીઓને અનુરોધ કરવામાં આવે છે કે બપોરે ૧૨ થી સાંજના ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવું નહી. હાલ પ્રવર્તમાન ગરમીના કારણે લુ લાગવી, ગરમી થવી તેમજ હિટ વેવની અસર થવાના પગલે બને એટલું ઠંડકમાં અને છાયડામાં રહેવું. તેમજ ખૂબજ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ અને કામ વગર ઘરની બહાર ના નીકળવું. તેમજ પોતાના પશુ પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા જોઈએ એમ જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લાવાસીઓને જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત રહેવાની છે જેની અસર મહેસાણા જિલ્લામાં પણ પડી શકે છે. મહેસાણા જિલ્લા વાસીઓને હિટવેવ અને ગરમીથી સુરક્ષિત રહેવા માટે સૂચવાયેલા પગલાંઓને અનુસરવા માટે જિલ્લા કલેકટર એમ નાગરાજન અને ડિઝાસ્ટર મામલતદાર બહેલિમ દ્વારા ખાસ સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ હોવાથી જિલ્લા કલેકટર એમ. નાગરાજન તેમજ જિલ્લા ડિઝાસ્ટર કચેરી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લૂ થી બચવા માટે શુ કરવુ અને શું ન કરવુ, કામદારો અને નોકરીદાતાએ શું કાળજી રાખવી, ઘરને શીતળ રાખવા માટે શું કરવું, લૂ લાગેલ વ્યકિતને કેવી રીતે સારવાર લેવી તે અંગે તથા લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ, હ્ર્‌દય, કીડની કે યકૃત સંબધી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ નો ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે. તેમની વિશેષ કાળજી લો.
• કામદાર અને નોકરીદાતા માટે રાખવાની કાળજી :- કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધિ માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારંવાર સ્નાન કરો. કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘરના કોઈ સદ્‌સ્યને કહો કે તબીબ પાસે લઈ જાય.
• ઘરને શીતળ રાખવા માટે આટલું ધ્યાન રાખો :- ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાંથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે.
• લુ લાગેલી વ્યક્તિની સારવારમાં શું ધ્યાન રાખવું :- ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેંદ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન એક ધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય. ચક્કર આવતા હોય. નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો. આટલુ નહીં કરવું. જેમાં બપોરના ૧૨ઃ૦૦ વાગ્યા થી ૪ઃ૦૦ વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવુત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ. આ સમયે રસોઈ ન કરો રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા, કોફી, સોફટ ડ્રીક્સ ન લો, પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો.
• કૃષિ અને પશુપાલન વિષયક આટલી કાળજી રાખવી :- ઉભા પાકને હળવુ તેમજ વારંવાર સિંચન કરો. પાક વિકાસની મહ્‌ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. પશુપાલન ક્ષેત્રે પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો કે, ફુવારા લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જઈ જાવ. આહારમાં તેમને લીલો ચારો આપો. પ્રોટીન ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્‌વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે પશુને ચરાવા લઈ જાવ. વખતોવખત હીટ વેવ અને ગરમી સામે સાવચેતીના પગલાં ભરવાની સરકારશ્રીની માર્ગદર્શિકા અને જાહેરાતોને અનુસરવાનો અનુરોધ પણ મામલતદાર આર.બી.બહેલીમ ડિઝાસ્ટર મહેસાણા દ્વારા કરવામાં આવ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us