
ભાજપ સરકારમાં પોલીસ તંત્રનો હિન્દુઓના તહેવારમાજ જોરજુલમ

નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરવામાં પણ પુરી સ્વતંત્રતા નહી
તંત્રી સ્થાનેથી…
નવરાત્રી ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ માટે ખુબજ મહત્વનુ પર્વ છે. આ નવ દિવસના તહેવારમાં જગતજનની માઁ અંબા ભગવતી પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આ દિવસો દરમ્યાન ભક્તજનો જગતજનનીની આરાધનામાં લીન થઈ જાય છે. આ દિવસોમાં સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય છે. ગુજરાતમાં તેમજ વિશ્વમાં જ્યા પણ ગુજરાતી રહે તેમના ઘરમાં અનોખો ભક્તિભાવ જોવા મળે છે. નવરાત્રિમાં માતાજીની ભક્તિ અને ઉપાસના સાથે ગરબા ગાવા તથા ગરબે ઘૂમવાનુ પણ અનેરૂ મહત્વ છે. પુરાતન કાળથી ચાલી આવતા નવરાત્રી પર્વમાં પહેલા ભક્તિમાં લીન થઈ જવાય તેવા ગરબા ગવાતા હતા અને ભક્તિમાં તલ્લીન થઈ ભક્તો ગરબે ઘૂમતા હતા. અત્યારની જેમ પહેલા પાર્ટી પ્લોટ, ઓરકેસ્ટ્રા પાર્ટીઓ, મોટા સાઉન્ડ સીસ્ટમ જેવા ઉપકરણો નહોતા ત્યારે શેરી ગરબાનુ ખૂબજ મહત્વ હતુ. અત્યારના આધુનિક જમાનામાં પાર્ટી પ્લોટનુ મહત્વ વધી ગયુ છે. આ પાર્ટી પ્લોટની પરંપરા પણ છેલ્લા ઘણા વર્ષથી ચાલી આવે છે. આધુનિક જમાનાની સાથે નવરાત્રીમાં પણ આધુનિક કલ્ચર આવતા પાર્ટી પ્લોટોનુ મહત્વ અત્યારે ખૂબજ વધી ગયુ છે. પાર્ટી પ્લોટના કારણે શેરી ગરબાની સંસ્કૃતિ લુપ્ત થવા તરફ છે. પરંતુ પાર્ટી પ્લોટમાં પણ છેવટે તો ખેલૈયા ગરબાજ રમે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ગુજરાતના ગરબાએ વિશ્વમાં ખ્યાતી પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં નવરાત્રિ પર્વે ગરબાનુ મહત્વ એક ગુજરાતી ન સમજે તો બીજુ કોણ સમજે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓને રાહત થાય તેવુ નિવેદન આપ્યુ છેકે, ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. પહેલા રાત્રે ૧૨ કલાક સુધીજ ગરબા માટેની સંમતિ હતી. રાત્રિના ૧૨ કલાક સુધીની ડેડલાઈનના કારણે ગરબાની બરોબર રંગત જામી હોય ત્યાંજ ગરબા બંધ કરવાની નોબત આવતી હતી. ગુજરાતી દરેક તહેવાર પ્રસંગે નાસ્તાના પણ એટલાજ શોખીન હોવાથી ધંધાર્થીઓ પણ આ સમય દરમ્યાન પોતાનો ધંધો ચાલુ રાખી શકશે. મુંબઈમાં આયોજીત એક ભારત શ્રેષ્ઠ ભારતના કોન્કલેવમાં એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો ક્યા રમવા જશે તેવા સ્ટેટમેન્ટ સાથે મોડી રાત સુધી ગરબા રમવાની છુટ આપતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ગેલમાં આવી ગયા હતા. ત્યારે સામાન્ય દિવસોમાં કાયદાના પાલનમાં ઉંઘતા રહેતા પોલીસ અધિકારીઓને તહેવારના તાકડેજ કાયદા પાલનનુ સૂરાતન ચડતા જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે ૧૨ કલાક સુધીજ માઈક વગાડવાની મંજુરી આપતા ગરબા આયોજકો અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ભાજપ સરકાર એક તરફહિન્દુ સંસ્કૃતિની સુરક્ષા અને જાળવણીની ચુંટણી દરમ્યાન બડાશ મારે છે, ત્યારે આજ સરકારનુ પોલીસ તંત્ર હિન્દુ સંસ્કૃતિના ગરબાના આનંદમાં રંગમાં ભંગ પાડી રહ્યુ છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે ભાજપ સરકારના રાજમાં હિન્દુઓના તહેવાર ઉપર આટલો જોર જુલમ કેમ? ગુજરાતમાં ફક્ત નવરાત્રીમાંજ મોડી રાત સુધી માઈક વાગતા હોય તેવુ નથી. લગ્ન પ્રસંગના રાસ ગરબા, ચૈત્ર માસમાં ચાલતી રમેણ, ભજન મંડળીઓ વિગેરે પ્રસંગોમાં આખી રાત માઈકનો ઘોઘાટ થાય છે. માર્ચ-એપ્રિલના પરીક્ષાના માહોલ સમયે પણ વાંચનમાં ખલેલ પડે તે રીતે મોડી રાત સુધી સ્પીકર વાગતા હોય છે. ડી.જે.સાઉન્ડથી અવાજના પ્રદુષણ સાથે સ્વાસ્થ્યને પણ નુકશાન થતુ હોવાથી સાઉન્ડ લીમીટરનો પરિપત્ર કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં નાગરિકોની ઉંઘમાં ખલેલ પહોચાડતા આખી રાત વાગતા સ્પીકર બંધ કરવાના નિયમનો અમલ કરવામાં પોલીસ તંત્રમાં સુરાતન જોવા મળતુ નથી, ત્યારે નવરાત્રીમાં ફક્ત નવ દિવસ રાત્રિના ૧૨ કલાકે માઈક બંધ કરવાની માર્ગદર્શિકા કેમ? મહોરમના તહેવારમાં નિકળતા ઝુલુસમાં મુસ્લીમ સમાજના લોકોને તલવાર, બરછી, ગુપ્તી જેવા હથિયારોની છુટ્ટી, જ્યારે રામનવમીની શોભાયાત્રામાં તલવાર લઈને નિકળવા ઉપર પાબંધી. હિન્દુઓના તહેવારમાં ભંગ પાડતા અને ભેદભાવ રાખતા પોલીસની આવી માર્ગદર્શિકા સામે ભાજપ સરકાર કેમ ચુપ છે.