Select Page

ધારાસભ્યને ધક્કા મારી ગાળો બોલી અપમાન કર્યુ હોવાની પ્રદેશ સંગઠનમાં રજુઆત CAA સમર્થન રેલીમાં ભાજપના જુથવાદનુ પ્રદર્શન

ધારાસભ્યને ધક્કા મારી ગાળો બોલી અપમાન કર્યુ હોવાની પ્રદેશ સંગઠનમાં રજુઆત CAA સમર્થન રેલીમાં ભાજપના જુથવાદનુ પ્રદર્શન

ધારાસભ્યને ધક્કા મારી ગાળો બોલી અપમાન કર્યુ હોવાની પ્રદેશ સંગઠનમાં રજુઆત
CAA સમર્થન રેલીમાં ભાજપના જુથવાદનુ પ્રદર્શન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જીલ્લા સંગઠન અને સરકારના જવાબદાર નેતાના ખોટા પ્રોત્સાહનના કારણે વિસનગર ભાજપમાં જુથવાદ વકરી જાહેરમાં ગાળાગાળી સુધી પહોચ્યો છે. અંકુશ લાવવામાં નહી આવે તો હવે જુથવાદ મારામારી સુધી પહોચે તો નવાઈ નહી. જશુભાઈ પટેલના ઉગ્ર સ્વભાવના કારણે CAA સમર્થન રેલીમાં ભાજપની આબરૂના ધજાગરા ઉડ્યા છે. ધારાસભ્યના અપમાનના પડઘા સરકાર અને સંગઠન સુધી પડ્યા છે. ૨૦૦ જેટલા કાર્યકરોએ ધારાસભ્યનુ અપમાન કરનાર સામે શિસ્ત ભંગના પગલા ભરવા રજુઆત કરી છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ગમે તે ભૂલ હોય તો ભાજપની મીટીંગમાં જે કહેવુ હોય તે કહી શકાતુ હતુ. ત્યારે જાહેરમાં અપમાન કર્યુ તે સંસ્કારી નગરી માટે શરમજનક છે. રાષ્ટ્રહિતની રેલીમાં ધારાસભ્ય તરફે સુત્રોચ્ચાર થયા તે પણ ટેકેદારોએ ભુલ કરી છે. જેમાં ધારાસભ્યની પણ ઓછી થઈ છે. પોતાના તરફી સુત્રોચ્ચાર કરતા ટેકેદારોને ન રોકવા તે પણ ધારાસભ્યની ભુલ છે.
લાખ્ખો કરોડોના કૌભાંડીઓને છાવર્યા છે, આવકાર્ય છે અને સન્માન્યા છે. જ્યારે કૌભાંડનો જેના ઉપર દાગ નથી તે ધારાસભ્ય વિરુધ્ધ સત્તાની સાઠમારીના રાજકારણમાં નફરત ઉભી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રાજકીય નિતિ ખરાબ હશે, જે ગમતી નહી હોય. પરંતુ ભૂતકાળમાં વિસનગરને પાયમાલ કરવાની જે નિતિઓ અપનાવવામાં આવી તેવી નિતિ તો ધારાસભ્યએ અપનાવી નથી. ધારાસભ્યની ટીકીટ છીનવી પાડી દો. પરંતુ હાલમાં વિસનગરમાં જે ચાલી રહ્યુ છે તે જોઈને ચોક્કસ કહી શકાય કે ભવિષ્યમાં સારા વ્યક્તિઓ રાજકારણમાં આવતા ચોક્કસ વિચારશે.
વિસનગરમાં નાગરિક સમિતિ દ્વારા તા.૭-૧-૨૦૨૦ ના રોજ CAA સમર્થન રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આમંત્રણ નહોતુ પરંતુ રાષ્ટ્રહિતની રેલી હોવાથી એક નાગરિક તરીકે હાજરી આપી હતી. રેલીમાં ઉપસ્થિત મહાનુભાવોએ ઝ્રછછ નુ માર્ગદર્શન અને સમજુતી આપ્યા બાદ જંગી રેલીનુ પ્રસ્થાન થયુ. સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી તથા અન્ય મહાનુભાવો સાથે સમર્થન રેલી એસ.કે.યુનિવર્સિટીના ગેટ આગળ પહોચી ત્યારે જશુભાઈ પટેલ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપર તાડુક્યા હતા કે, કાંસામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયાની ઉપસ્થિતિમાં CAA સમર્થનની રેલીનુ આયોજન કરાયુ તેમાં કેમ બોલાવ્યો નહોતો. જેમાં અપશબ્દો પણ બોલવામાં આવ્યાની ચર્ચા છે. ધારાસભ્ય સાથે આવુ વર્તન જોઈ તેમના ટેકેદારોએ ઋષિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના સુત્રોચ્ચાર કર્યા હતા. જે ટેકેદારોની ભુલ હતી. રાષ્ટ્રહિતની રેલીમાં પોતાની તરફી થતા સુત્રોચ્ચાર બંધ કરવા ધારાસભ્યએ ટેકેદારોને રોકવા જોઈતા હતા. ત્યારે જશુભાઈ પટેલે ધારાસભ્યના ટેકેદારોને સુત્રોચ્ચાર કરતા રોકતા અપશબ્દોનુ ઘર્ષણ થયુ હતુ. પરિસ્થિતિ વણસે તેમ જણાતા ધારાસભ્યએ ટેકેદારો સાથે રેલીમાંથી ચાલતી પકડી હતી. CAA સમર્થન રેલીમાં ભાજપના જુથવાદનુ વરવુ પ્રદર્શન થતા તેની શહેરમાં ભારે ચકચાર જાગી છે. ઘેર પ્રસંગ રાખ્યો હોય અને આવેલ મહેમાન પ્રસંગ બગાડે તેવો વ્યવહાર અને વર્તન કરતા હોય તો આપણે રોકીએ છીએ. ત્યારે પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય સાથે જીભાજોડી અને ઉધ્ધત વર્તન કરતા જશુભાઈ પટેલને રોકવાની જરૂર હતી. ત્યારે પ્રકાશભાઈ પટેલ ઘર આગણા જેવી યુનિવર્સિટીમાં રાજકીય પ્રતિસ્પર્ધી ધારાસભ્યનુ અપમાન થતુ જોઈ રહ્યા. જ્યારે જશુભાઈ પટેલે પણ કોઈના પ્રસંગમાં જઈ હોબાળા કરી પ્રસંગ ન બગાડાય તેનો વિચાર કરવાની જરૂર હતી.
ભાજપનાજ અદના હોદ્દેદારો દ્વારા ભાજપના ધારાસભ્યનુ જાહેરમાં અપમાન કરવામાં આવતા તેની રજુઆત કરવા બે લક્ઝરી અને ખાનગી વાહનોમાં લગભગ ૨૦૦ જેટલા ટેકેદારો ગાંધીનગર દોડી ગયા હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે રજુઆત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના હાથ મજબૂત કરવા વિસનગર તાલુકા અને શહેર ભાજપ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તા.૨૪-૧૨-૨૦૧૯ ના રોજ CAA અને NRC સમર્થન રેલીમાં પ્રકાશભાઈ પટેલ અને જશુભાઈ પટેલ હાજર રહેલ નહી. તા.૭-૧-૨૦૨૦ ના રોજ એસ.કે.યુનિવર્સિટીમાંથી નીકળેલ CAA અને NRC સમર્થન રેલીમાં ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે જોડાયેલા. રજુઆતમાં યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને પૂર્વ જીલ્લા ભાજપ જશુભાઈ પટેલ વિરુધ્ધ આક્ષેપ કર્યો હતો કે, તેમણે ધારાસભ્યને અપશબ્દો બોલી, અવિવેકી વર્તન કરી ધારાસભ્યને ધક્કા મારી અમારી રેલીમાં કેમ આવ્યો છે બહાર નીકળ, ગાળો બોલી અપમાનજનક વર્તન કરેલ. ભૂતકાળમાં પણ આ બન્નેએ ધારાસભ્યના અંગત વિરોધના કારણે વિવિધ કાર્યક્રમોમાં પાર્ટીને છબીને નુકશાન પહોચે એવુ વર્તન કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. રેલીમાં અંગત અદાવત અને મહત્વકાંક્ષા સંતોષવા પાર્ટીના હોદ્દેદારો સાથે અણછાજતુ વર્તન કરવાની ઘટના સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને મોવડી મંડળના અપમાન સમાન છે. જેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પાર્ટીની શીસ્તના લીરેલીરા ઉડાડનારા લોકોમાં દાખલો બેસે તેવા કડક પગલા ભરવા અને પાર્ટીના કાર્યકરોનુ મોરલ બની રહે તે માટે તમામ એક્શન લેવા માગણી કરી હતી.
ભાજપના કાર્યકરો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત કરવા ગયા ત્યારે નાયબ મુખ્યમંત્રી કામમાં વ્યસ્ત હોય કે ગમે તે કારણોસર કાર્યકરોને અડધો કલાક સુધી બેસી રહેવુ પડ્યુ હતુ. ત્યારે કાર્યકરોમાં ગણગણાટ વર્તાયો હતો કે, ચુંટણી સમયે કાર્યકરો યાદ આવે છે. નાયબ મુખ્યમંત્રીશ્રી આવે ત્યારે તેમને આવકારવા કાર્યકરો આતુર હોય છે. ત્યારે ગાંધીનગર આટલી મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને રાહ જોવી પડે તે કેટલુ વ્યાજબી? નાયબ મુખ્યમંત્રીને મળ્યા બાદ તેમણે બનેલા બનાવને બહુ પ્રાધાન્ય આપ્યુ નહતુ. જેનુ કાર્યકરોને દુઃખ હતુ.
જોકે આ વિવાદમાં જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, રેલીમાં સોમાભાઈ મોદીનુ પ્રવચન ચાલતુ હતુ. ત્યારે ધારાસભ્ય સ્ટેજ ઉપર આવતા જગ્યા આપી બેસાડ્યા હતા. સોમાભાઈ મોદી અને મારે રેલીનુ પ્રસ્થાન કરાવવાનુ હતુ. રેલીમાં ધારાસભ્ય ઋષિભાઈ સાથે હતા. ત્યારે ધારાસભ્યના ટેકેદારોએ ઋષિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના સુત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યારે મારે ટેકેદારોને બોલવુ પડ્યુ હતુ કે, આ રાષ્ટ્રહિતની રેલી છે. નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહને સમર્થન આપવા માટેની રેલી છે. રાષ્ટ્રહિત માટેની રેલી છે ધારાસભ્યની રેલી નથી. ત્યારે ટેકેદારો મારી ઉપર ઉશ્કેરાયા હતા. સોમાભાઈ મોદી તેના સાક્ષી છે. કાંસામાં રેલી કાઢી તો મને કેમ જણાવ્યુ નહી તે માટે ધારાસભ્યને કીધુ હતુ. ધારાસભ્યને ગાળો બોલ્યો નથી. સમગ્ર બનાવના સાક્ષી સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી છે. બધા પાસે વીડીઓ છે. ધારાસભ્ય તરફી સુત્રોચ્ચાર કર્યા તેની સાબીતી છે.
ધારાસભ્યની ગરીમા લજવાય અને પાર્ટીનુ અહીત થાય તે સખત શબ્દોમાં વખોડુ છુ-મનુભાઈ લાછડી
વિસનગરમાં CAA સમર્થનની રેલીમાં ધારાસભ્યનુ અપમાન થતા ભાજપ અગ્રણી મનુભાઈ લાછડીએ રોષ પૂર્વક જણાવ્યુ છેકે, ધારાસભ્ય સાથે જશુભાઈ પટેલે જે કર્યુ છે તે યોગ્ય કર્યુ નથી. સંસ્કારી નગરી માટે ખોટુ થયુ છે. આ બનાવને સખત શબ્દોમાં વખોડુ છું. આવુ ન થવુ જોઈએ. દેશહિતના સમર્થન માટેની રેલીમાં જાહેર આમંત્રણ હોય તો કોઈ પણ જોડાઈ શકે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સામેથી ફોન આવ્યો હતો અને રેલીમાં સાથે જોડાવવા જણાવ્યુ હતુ. ત્યારે રેલીમાં ધારાસભ્યની ગરીમા લજવાય તેવુ થયુ તે અયોગ્ય છે. આવા વર્તનથી આગેવાનો સામે નરફત થઈ ગઈ છે. પાર્ટીનુ અહીત થાય તેવુ વર્તન ચલાવી લેવાય નહી. વ્યક્તિગત દુશ્મની હોય તો દુર જઈને લડો પણ પાર્ટીનુ નુકશાન થાય તેવુ જાહેરમાં વર્તન કરવુ અયોગ્ય છે. જશુભાઈ પટેલે આવુ વર્તન કર્યુ અને પ્રકાશભાઈ પટેલે તેમને રોક્યા નહી તે શરમજનક છે. આગણે આવેલા દુશ્મનને પણ આપણે આવકાર આપીએ છીએ. ત્યારે રેલીના સમર્થનમાં સામે ચાલીને આવેલા ધારાસભ્યને આવકારી સન્માન આપવાની જગ્યાએ તુ-તારી કરી ગાળો બોલી અપમાન કર્યુ તે અયોગ્ય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us