Select Page

ખેરાલુ વિધાનસભામાં ચૌધરી સમાજમાં ભાગલા થશે?

ખેરાલુ વિધાનસભામાં ચૌધરી સમાજમાં ભાગલા થશે?

વિપુલભાઈ ચૌધરીની તરફેણ-વિરૂધ્ધની સભાઓથી

ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં હાલ દુધ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા ઠેર ઠેર સભાઓ યોજી અર્બુદા સેનામાં યુવાનોને જોડી સમાજને એક તાંતણે બાંધવાનું કામ શરૂ કર્યુ છે. તેમાં તેમનો શું સ્વાર્થ છે તે તો ભગવાન જાણે પણ તાજેતરમાં ખેરાલુ શહેરમાં વિપુલભાઈ ચૌધરીના વક્તવ્યથી નારાજ થઈ હરીભાઈ ચૌધરી અને દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના સમર્થકો દ્વારા જંગી સભા યોજી હતી જેમાં વિપુલભાઈ ચૌૈધરીને પોતાના શબ્દો પાછા ખેંચી માફી માંગવાની માંગણી કરાઈ હતી. હાલ જે રીતે સામાસામી સભાઓ શરૂ થઈ છે તેમાં છેવટે ભોગવવાનું ચૌધરી સમાજે જ આવશે.
ખેરાલુ વિધાનસભાનો ઇતિહાસ જુઓ તો ચૌધરી સમાજે જ્યાં પણ મતદાન કર્યુ છે તે લગભગ એક તરફી મતદાન કર્યુ છે. વર્ષો પુર્વે અપક્ષ દલછાભાઈ ચૌધરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતદાન થયુ જેમાં ચંદનસિંહ રાજપુત હાર્યા હતા અને શંકરજી ઠાકોર જીત્યા હતા. ત્યારે ચૌધરી સમાજ એક રહ્યો હતો. ત્યારબાદ લગભગ દરેક વિધાનસભાની ચુંટણીમાં ચૌધરી સમાજ ભાજપ સાથે રહ્યો છે. ત્યારે ગત વિધાનસભાની ચુંટણીમાં મોટા ભાગનો ચૌધરી સમાજ મુકેશભાઈ દેસાઈ સાથે રહ્યો હતો. તેવી જ રીતે લોકસભાની ચુંટણીમા ભાજપ સાથે હતો. અને ૨૦૧૯ની વિધાનસભાની પેટા ચુંટણીમાં ચૌધરી સમાજ અજમલજી ઠાકોર સાથે રહ્યો હતો. 
ખેરાલુ શહેર/તાલુકો અને સતલાસણા તાલુકાના ચૌધરી સમાજના તમામ પ્રશ્નો ભાજપે હલ કર્યા છે. ખેરાલુ શહેરમાંતો મોટા ભાગનો ચૌૈધરી સમાજ સિમમાં રહે છે. રોડ, લાઈટ, પાણી જેવી તમામ સુવિધાઓ સિમમાં ઉપલબ્ધ હોવાથી શહેરનો ચૌધરી સમાજ સંપુર્ણ રીતે ભાજપ સાથે જ છે. ત્યારે હવે વિપુલભાઈ ચૌધરીની અર્બુદા સેના અને તેની સામે દુધ સાગર ડેરીના ચેરમેનની ટીમ સામ સામે મિટીંગો કરી રહી છે. જેનાથી ચૌધરી સમાજના ભાગલા નિશ્ચિત લાગે છે. આગામી વિધાનસભાને લક્ષમા લઈને બંન્નેની મિટીંગો થતી હોય તેવુ લાગે છે. ત્યારે બુધ્ધીજીવી ચૌધરી સમાજ બંન્નેની મિટીંગો થી દુર જોવા મળે છે. ચૌધરી સમાજમાં ભાગલા પડ્યા વગર સમગ્ર સમાજમા એક્તા ઉભી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ખેરાલુ વિધાનસભામાં બુધ્ધીજીવી વ્યક્તિઓ પૈકીના એક આગેવાને પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે, આ બાર, બાવીસી, અને સત્યાવીસ સમાજના ચૌધરી સમાજનો ઝઘડો છેે. ખેરાલુ- સતલાસણા તાલુકાનો દોતોર અને ગઢવાડા સમાજના ચૌધરી સમાજને કંઈ લાગતુ વળગતુ નથી. વિપુલભાઈ ચૌધરીની તરફેણમાં અને વિરૂધ્ધમાં જે મિટીંગો થઈ રહી છે તેનાથી ખેરાલુ વિધાનસભાના ચૌધરી સમાજને શોષવાનો વારો આવશે. જે હોય તે પણ હાલ વિધાનસભાની ચુંટણી આવી ગઈ હોય તેવો માહોલ આ મિંટીગોથી ઉભો થયો છે. આ મિટીંગોથી ચૌધરી સમાજના ભાગલાને કારણે બીજા સમાજને વિધાનસભાની ટીકીટ મળે તો નવાઈ ન પામતા. આ ઝઘડામાં તરફેણ વિરોધ ગમે તેનો હોય પરંતુ છેવટે આગામી વિધાનસભાની ચુંટણી પછી ભોગવવાનું તો પશુપાલકો, ખેડુતો અને પાણીવગર ટળવળતા લોકોના માથે જ આવવાનુ છે. આપણા શાસ્ત્રો પણ કહી ગયા છે કે, કળીયુગમાં સંગઠન એજ શક્તિ છે. એક ન રહી શકોતો તમારી કિંમત પણ કંઈ નહી રહે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us