ભરાયેલા પાણીમાં વનસ્પતિ વેલ ઉગી નિકળતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
ચુંટણીમાં ઘેર ઘેર ફરી મત મેળવી જીત્યા બાદ પાલિકા સભ્યો ખોવાઈ જતા મતદારોને સમસ્યા માટે પાલિકાના ધક્કા ખાવા પડે છે. મહેસાણા ચાર રસ્તા પાસે બનાવેલ નાળાનુ લેવલ ઉંચુ થતા વહેળામાં ગંદુ પાણી ભરાઈ રહે છે. ગંદા પાણીનો નિકાલ કરવા આ વોર્ડના પાલિકા સભ્યો નહી સાંભળતા પરિમલ સોસાયટીના રહીસોને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી છે. ત્યારે આ વિસ્તારના સભ્યો સમસ્યાથી મો ફેરવતા પાલિકાએ આંખ આડા કાન કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.
વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા પાસે આર.સી.સી. નાળુ બનાવવા પાલિકાએ મંજુરી આપ્યા બાદ નાળાના કામમાં કોઈ દેખરેખ રાખી નથી. આર.સી.સી.નાળાના કામમાં તળીયાનુ લેવલ ઉંચુ બનાવવામાં આવતા આગળના ભાગમાં ગંદુ પાણી ભરાવાની સમસ્યા વધી છે. અગાઉ વહેળા ઉપર બનાવેલ નાળાના તળીયાનુ લેવલ એક સરખુ હોવાથી વહેળામાં ક્યાંય ગંદુ પાણી ભરાતુ નહોતુ. હવે મહેસાણા ચાર રસ્તા પાસે નવા બનેલ નાળાનુ લેવલ ઉંચુ હોવાથી આગળના ભાગમાં ગંદુ પાણી ભરાઈ રહે છે. વરસાદી વહેળામાં ગટરનુ ગંદુ પાણી ભરાઈ રહેવાથી વનસ્પતિની વેલ ફેલાઈ છે. જે અગાઉ જોવા મળતી નહોતી. વહેળામાં વેલ વધતા મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.
વહેળામાં પાણી ભરાઈ રહેતા ફેલાયેલી વેલ તથા ગંદકીથી આસપાસના વિસ્તારના રહીસો અત્યારે સહન કરી રહ્યા છે. વહેળામાં ભરાયેલા ગંદા પાણી અને ગંદકીનો નિકાલ કરવા પરિમલ સોસાયટીના રહીસો દ્વારા તા.૭-૪-૨૦૨૨ ના રોજ વિસનગર પાલિકામાં રજુઆત કરી હતી. લોભામણી લાલચો આપી મત લઈ ગયેલા સભ્યોને પરિમલ સોસાયટીના લોકોની મુશ્કેલી જોવાનો કે સાંભળવાનો સમય નથી. ત્યારે સોસાયટીના રહીસોની વારંવારની રજુઆત છતા વહેળામાં પાણીનો નિકાલ કે ગંદકી દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા સોસાયટીના લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. નવાઈની વાત તો એ છેકે સોસાયટીના લોકો દ્વારા મચ્છરોનો ઉપદ્રવ દુર કરવા વહેળામાં દવાનો છંટકાવ કરવાની પણ રજુઆત કરી છે. ત્યારે પાલિકા દ્વારા નિયમિત દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.