Select Page

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની વિજ કંપનીને ચેતવણી

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની વિજ કંપનીને ચેતવણી

કનેક્શન ધરાવતા ગ્રાહકોને વધારાની ડિપોઝીટ ભરવા નોટીસ આપતા

ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા વિસનગરમાં કનેક્શન ધરાવતા ગ્રાહકોને વધારાની ડિપોઝીટ ભરવા માટે મોટા પ્રમાણમાં નોટીસો આપવામા આવી છે. ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરતી વિજ કંપનીની કાર્યવાહી સામે ભારે રોષ ફેલાયો છે. ત્યારે ગ્રાહકોના હિત માટે હંમેશા જાગૃત તથા નિડરતાથી અવાજ ઉઠાવનાર વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નોટીસો પાછી ખેચી લેવા વિજ કંપનીને ચેતવણી આપતી નોટીસ ફટકારી છે.
હરિફમા બીજી કોઈ કંપની નહી હોવાથી ઈજારાશાહીના કારણે વિજ કંપની દ્વારા વખતો વખત વિવિધ ચાર્જ વધારવામા આવે છે. જેનુ ભારણ સીધુજ ગ્રાહકો ઉપર આવે છે. વિજ સપ્લાય મેળવવા બીજો કોઈ પર્યાય નહી હોવાથી કનેક્શન ધરાવતા ગ્રાહકોને મુંગા મોઢે સહન કરવા વારો આવે છે. પણ હવે સમય બદલાયો છે. અને ગ્રાહક જાગૃત થયા છે. ત્યારે ગ્રાહકોના હિતનુ રક્ષણ કરતી સંસ્થાઓ પણ સરકારની કંપનીઓ સામે બાથ ભીડવામા પાછી પાની કરતી નથી.
વિસનગરમાં અસંખ્ય ગ્રાહકોને ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા વધારાની ડિપોઝીટ ભરવા માટે નોટીસો આપવામાં આવી છે. કોરોના કાળની ફટકારમાથી લોકો ઉંચા આવ્યા નથી વળી મોંઘવારીએ ગરીબ અને મધ્યવર્ગના પરિવારોનુ બજેટ ખોરવી નાખ્યુ છે. ત્યારે વિજ કંપનીની ડિપોઝીટ ભરવાની નોટીસથી ગ્રાહકોમા ભારે રોષ ફેલાયો છે. ગ્રાહકોના ન્યાય અને હિત માટે હંમેશા નિડરતાથી અવાજ ઉઠાવનાર વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે વિજ કંપનીની આ મનમાની સામે બાયો ચડાવી છે. વધારાની ડિપોઝીટ ભરવાની વિજ ગ્રાહકોને નોટીસ મળી હોવાનુ જાણવા મળતા વિજ કંપનીના બહોળા ગ્રાહક વર્ગના હિતમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નોટીસ આપવામા આવી છે.
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે વિજ કંપનીને એ નોટીસ આપી છે કે, જાહેર જનતાના હિતોને ધ્યાને રાખી મળેલ ફરિયાદ અન્વયે નોટીસ આપીએ છીએ. વધારાની ડીપોઝીટ ભરવા માટે જે નોટીસ આપવામા આવી છે તે સદંતર કાયદા વિરુધ્ધની અને ગેરકાયદેસર છે. ગ્રાહક જ્યારે વિજ કનેક્શન મેળવે છે ત્યારે એડવાન્સ ડિપોઝીટ ભરે છે. ગ્રાહકો વિજ વપરાશ મુજબ મળેલ બીલ પ્રમાણેની રકમ વિજ કંપનીમા ભરે છે. કોઈ ગ્રાહક સમય મર્યાદા પછી બીલ ભરે તો દંડ તથા વ્યાજ પણ ભરે છે. તો પછી વધારાની ડિપોઝીટ કયા આધારે અને કયા કારણે ભરવાની આવી નોટીસો આપી વિજ કંપની ગ્રાહકો જોડે કનેક્શન લેતી વખતે કરેલ કરારનો ભંગ કરી ગ્રાહકોની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. આવેલ નોટીસો દિન-૧૦મા રદ્‌બાતલ કરવામાં નહી આવે તો ગ્રાહકોને થયેલ આર્થિક નુકશાન અને ભોગવેલી માનસિક પરેશાની બદલ ખર્ચ સહિત વળતર વસુલવા ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯ અન્વયે જીલ્લા આયોગમા દાદ માગવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts