Select Page

સાંસદ ભરતસિંહ ડાભીનો હિતશત્રુઓને સમજાવવા મુખ્યમંત્રીને પત્ર

સાંસદ ભરતસિંહ ડાભીનો હિતશત્રુઓને સમજાવવા મુખ્યમંત્રીને પત્ર

કેન્દ્ર સરકારે ભુલથી OBC ના જાહેરનામાંમાં THAKOR ના બદલે THAKORE લખતા

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની કેન્દ્ર સરકારની યાદીમાં ઠાકોર (THAKOR) લખવાના બદલે ઠાકોરે (THAKORE) લખતા શિક્ષણ વિભાગ ગુજરાત સરકારને સુચના આપવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધી તા.૧૦-૮-ર૦રરના રોજ પત્ર લખી જાણ કરી છે. સાંસદ ભરતસિંહ ડાભી જ્યારે પણ બક્ષીપંચ સમાજને રાજ્ય સરકાર અન્યાય કરે છે ત્યારે પક્ષ ભુલીને બક્ષીપંચ સમાજનો સાથ આપે છે. આવા અસંખ્ય દાખલા છે ત્યારે શિક્ષણ વિભાગને હિતશત્રુ સાથે સંબોધી સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કડક શબ્દોમાં મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ભરતસિહ ડાભીના પત્રની વિગત જોઈએ તો ગુજરાત રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદી ભારત સરકારના ગેજેટમાં પ્રસિધ્ધ કરાઈ છે. કેન્દ્ર સરકારની યાદીમાં ક્રમાંક નં.૬૯ ઉપર ઠાકોર સમાજનો સમાવેશ કરવામા આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારની યાદીમાં ક્રમાંક નં-૭રમાં ઠાકોર સમાજનો સમાવેશ કરાયો છે. જે બાબતે ભારત સરકારના ૧૩-૯-૧૯૯૩ ના ગેજટથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો જાહેર કરેલા અંગ્રેજી નામના પેજનં- ૪પ ઉપર ક્રમાંક ૬૯માં ઠાકોર (THAKOR) માટે વપરાતા અંગ્રેજી સ્પેલીંગમાં ઠાકોરે (THAKORE) તરીકે ઉલ્લેખ કરાયો છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી શાળાઓમાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓના શાળા છોડયાના પ્રમાણપત્રમાં અંગ્રેજી સ્પેલીંગ THAKOR લખવામાં આવે છે. જેમાં ઈ (E) ઉમેરવામાં આવતો નથી. જેથી કેન્દ્ર સરકારના ગેજેટના સ્પેલીંગ પ્રમાણે વિસંગતતા રહેવાને કારણે વિદ્યાર્થી કેન્દ્ર સરકારના શૈક્ષણિક લાભો લેવા જાય ત્યારે જાતિના દાખલામાં, માર્કશીટ અને શાળા છોડયાના પ્રમાણપત્રમાં અંગ્રેજી સ્પેલીંગ THAKORE લખવાના કારણે કેન્દ્ર સરકારના લાભો મેળવી શકતો નથી. મુખ્યમંત્રીશ્રી એસ.સી, એસ.સી., અને ઓ.બી.સી., સમાજોના હિતના રક્ષણ માટે કામ કરે છે. ત્યારે શાળાઓની અંગ્રેજીના સ્પેલીંગ મીસ્ટેકના કારણે વિદ્યાર્થીઓને લાભ મળતો નથી. અગાઉ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સરકારશ્રીના ગેજેટ પ્રમાણે અંગ્રેજી સ્પેલીંગ લખવાની શરૂઆત કરેલ છે. પરંતુ શિક્ષણ વિભાગના હિત શત્રુઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી અને જુની પરંપરાને વળગી રહ્યા છે. જેથી આ બાબતે કેન્દ્ર સરકારના ગેજેટ પ્રમાણે શિક્ષણ વિભાગને સુચના આપવા વિનંતી કરી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઠાકોર સમાજના વિદ્યાર્થીઓના બંધારણીય હિતોનું રક્ષણ થાય અને કેન્દ્ર સરકારના લાભો મેળવી શકે તે માટે ઝડપથી કાર્યવાહી કરવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જયારે એસ.સી.એસ.ટી.ઓ.બી.સી.સમાજની ભરતીઓમાં જયારે રાજ્ય સરકાર અન્યાય કરે ત્યારે તેની વિરૂધ્ધમાં હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી જે તે સમાજના વકીલો ન્યાય માંગવા પહોેચે છે. કેન્દ્ર સરકારની ર૯ વર્ષ પહેલાની ભુલ સુધારવા ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવી જોઈએ. શું આ બાબતે ઓ.બી.સી.સમાજના કોઈ એડવોકેટ સમાજનો ન્યાય અપાવવા કાર્યવાહી કરશે ખરા ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us