Select Page

ખેરાલુ વિધાનસભાને ૨૦૦ ક્યુસેક પાણી મળતા સોનાનો સુરજ ઉગ્યો

ખેરાલુ વિધાનસભાને ૨૦૦ ક્યુસેક પાણી મળતા સોનાનો સુરજ ઉગ્યો

પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલના સહયોગથી ૧૫ વર્ષે

ખેરાલુ વિધાનસભામા ચિમનાબાઈ સરોવર હંમેશા રામ મંદિરના મુદ્દાની જેમ રાજકીય મુદ્દો બન્યો છે. ૧૯૯૭ની સાલથી ચિમનાબાઈ સરોવર ભરવા રાજકારણ ચાલી રહ્યુ છે. ચિમનાબાઈ સરોવર ભરવાના મુદ્દે ૨૦૦૨મા રમીલાબેન દેસાઈ જીત્યા ત્યાર બાદ રમીલાબેન દેસાઈ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૫૦ ક્યુસેક પાણી કુડા ફીડરમાં છોડવા મંજુરી અપાવી હતી. ત્યારબાદ તાલુકા સેવા સદનના લોકાર્પણ પ્રસંગે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ તત્કાલિન ધારાસભ્ય અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ચિમનાબાઈ સરોવર ભરવા ૨૦૦ ક્યુસેક પાણીની મંજુરી આપવા વિનંતી કરતા મંજુરી મળી હતી. ત્યારબાદ ૧૫ વર્ષે હવે ખેરાલુ વિધાનસભાને ૨૦૦ ક્યુસેક પાણી પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલના સહયોગથી રસુલપુર પમ્પીંગ સ્ટેશને ચોથો પંપ ચાલુ કરી નર્મદા પાઈપ લાઈન દ્વારા વરસંગ તળાવ અને કુડા ફીડર દ્વારા ચિમનાબાઈ સરોવરમાં પાણી પાણી પહોચ્યુ છે.
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી નસીબદાર ધારાસભ્ય હોય તો અજમલજી ઠાકોર કહેવાશે. કારણ કે તેમને ઋષિકેશભાઈ પટલે જેવા પાણી પુરવઠા મંત્રીનો સાથ મળ્યો છે. રસુલપુર પંપીંગ સ્ટેશનનો ચોથો પંપ ચાલુ કરવા માટે ધારાસભ્ય અજમલજી ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજુઆતો કરાઈ હતી કે પંપીંગ સ્ટેશનનો વીજલોડ વધારો કરવા ગ્રાન્ટ ફાળવો, પાણી પુરવઠા મંત્રી દ્વારા યુધ્ધના ધોરણે ૩.૦૫ કરોડની ગ્રાન્ટ ફાળવી મોટી દાઉ અને રસુલપુર પંપીંગ સ્ટેશનનો લોડ વધારવા વિજ કચેરીમાં નાણા ભરાયા હતા. નાણા ભરાય પછી માત્ર ચાર દિવસમા વિજ કચેરી દ્વારા લોડ વધારો મંજુર કરી દીધો છે. જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી દેતા શુક્રવારે તા.૨૬-૮-૨૦૨૨ના રોજ રસુલપુર પંપીંગ સ્ટેશને ચોથો પંપ ચાલુ કરી દેતા પુરતુ ૨૦૦ ક્યુસેક પાણી વરસંગ પાઈપલાઈન અને કુડા ફીડરને મળતા ચિમનાબાઈ સરોવર ભરાઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. રસુલપુર પંપીંગ સ્ટેશને ૩૬૦૦ હોર્ષ પાવર દ્વારા ત્રણ પંપ કાર્યરત હતા. જેથી ૧૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ. હવે બીજો ૧૨૦૦ હોર્સ પાવરનો લોડ વધારો મળતા ચોથો પંપ પણ કાર્યરત કરવામા આવ્યો છે. ધરોઈ ડેમ ઓવરફ્લોે થયો છે અને હજુ ચોમાસુ પુરુ થવામાં દોઢ થી બે મહિના બાકી છે. જેથી ડેમનુ વધારાનુ પાણી રસુલપુર સમ્પને મળવાનુ છે. બે મહિના સુધી ૨૦૦ ક્યુસેક પાણી સતત મળે તો ચિમનાબાઈ સરોવર દ્વારા ઉનાળામાં પણ સિંચાઈની વ્યવસ્થા મળશે. હાલ વરસંગ તળાવ ઓવરફ્લો થયુ છે જેનુ સિધુ પાણી ચિમનાબાઈ સરોવરમાં માત્ર ત્રણ- ચાર દિવસમાં પહોંચી જશે. રૂપેણ ફીડર અને કુડા ફીડર મારફત સંપુર્ણ ૨૦૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમા પહોચાડાય તો ૧૦૦ થી ૧૫૦ ક્યુસેક પાણી પહોંચશે તેવુ નિષ્ણાતો સાથે ચર્ચા થતા જાણવા મળ્યુ છે.
ખેરાલુ અને સતલાસણા તાલુકાના લોકો પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને વરૂણદેવના અવતાર તરીકે જોઈ રહ્યા છે. કારણકે, અગાઉ ૧૩૧ કરોડની ૪૫ થી ૬૫ ગામોના તળાવો ભરવાની યોજના બનાવી જેનુ સર્વે પુર્ણ થઈ ગયુ છે. તેમજ આગામી વિધાનસભાની ચુંટણીના જાહેરનામા પહેલા ટેન્ડર પડી જશે અને તેનુ ખાતમુહુર્ત પણ થઈ જશે તેવુ રાજકીય નિષ્ણાતો જણાવે છે. જે હોય તે પણ ધારાસભ્ય અજમલજી ઠાકોરના કાર્યકાળમા ૨૦૦ ક્યુસેક પાણી પોહોંચાડવાનુ ઐતિહાસિક કાર્ય પુર્ણ થયુ જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ધારાસભ્ય અજમલજી ઠાકોરને પાણીદાર ધારાસભ્યનુ ઉપનામ આપવુ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us