Select Page

MA કાર્ડે અનેક કુટુંબોને દેવાદાર બનતા અટકાવ્યા-આરોગ્ય મંત્રી

MA કાર્ડે અનેક કુટુંબોને દેવાદાર બનતા અટકાવ્યા-આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી વિવિધ ઈ-લોકાર્પણો અને માં યોજનાના ૧૧ વર્ષમાં મંગલ પ્રવેશ ઉજવણી કરાઈ

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
• આયુર્વેદ અને યોગ ભારતના કારણે સમગ્ર વિશ્વએ અપનાવ્યા છે.
• ગુજરાતનાં નાગરિકોને શ્રેષ્ઠ સારવાર,સુવિધાઓ મળે એ જ સરકારનું લક્ષ્ય છે.
• વૃદ્ધજનોને ધરે બેઠા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને બ્લડ સેમ્પલ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
• આ પ્રસંગે લાભાર્થીઓના હિતાર્થે આયોજિત વિવિધ લોકાર્પણો કરાયા

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાની આરોગ્યલક્ષી સેવાઓ વધુસુદ્રઢ, ઝડપી, પ્રજાલક્ષી બનાવવાના સરકારના દ્રઢ નિર્ણય સાથે લાભાર્થીઓના હિતાર્થે આયોજિત વિવિધ ઈ-લોકર્પણો તેમજ ગુજરાત રાજ્યમાં માં યોજનાના ૧૧માં વર્ષમાં મંગલ પ્રવેશ ઉજવણીનો કાર્યક્રમ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યું કે,આજનો આ દિવસ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, કારણ કે ’’માં યોજનાનો’’ આજે ૧૧ મો જન્મ દિવસ છે.આજે શહેરો જેવી તબીબી સુવિધાઓ ગુજરાતનાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો,નાના શહેરો સુધી પહોંચવા લાગી છે.જે કારણોસર સ્વાસ્થ્ય સેવાનો વિસ્તાર થયો છે અને જનતાને ઝડપી અને સુદ્રઢ સેવાઓ પ્રાપ્ત થઈ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, PMJAY-MA કાર્ડ થકી ગરીબ પરિવારો,મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ લાભ થયો છે કારણ કે આ આયુષ્યમાન કાર્ડ પહેલા આ પરિવારોમાં કેન્સર,હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓના નિદાન પાછળ હજારો-લાખોનો ખર્ચ કરવો પડતો હતો.તેવામાં આ પરિવારોની અંગત બચત પણ સારવાર હેઠળ ખર્ચ કરવાના દિવસો આવી જતાં હતા. પરંતુ આયુષ્યમાન કાર્ડ આવવાથી આવા પરિવારોને ૫ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ છે પરિણામે તેમના સ્વાસ્થમાં સુધારો આવ્યો છે અને બચત થઇ છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, સરકાર એ દિશામાં કાર્ય કરી રહી છે કે હવે વૃદ્ધજનોએ હોસ્પિટલ આવવું નહીં પડે. કેમ કે હોસ્પિટલ જ સારવાર માટે તેમના ઘરે જશે.આપણું ગુજરાત નિરામય બને,શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ નાગરિકોને મળે અને એમનું સ્વાસ્થ્ય નિરોગી બને એ માટે સરકાર તત્પર છે કારણે કે સ્વસ્થ અને નિરોગી નાગરિક થકી જ ભારત આત્મનિર્ભર બનશે. “માં” યોજનાના રાજ્યમાં ૧૧ વર્ષના મંગલ પ્રવેશની ઉજવણની તથા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત નવીન તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રો-કાંસા,હસનપુર,પાલડી અને ભાન્ડુના ઇ-લોકાર્પણ લોકોની સુખાકારી સુવિધા માટે કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સમર્થ ડાયમંડ વિસનગરના સહયોગથી ૨૦૦ જેટલા ટીબીની સારવાર લેતા દર્દીઓને ૦૬ માસ સુધીની પોષણ કીટ વિતરણ કરાયું હતું. તેમજ હિટાચી કંપની,કરણનગર,કડીના સહયોગથી ૦૨ લાખ જેટલા સેનેટરી નેપકીન વિતરણની જાહેરાત કરાઇ હતી. સગર્ભા બહેનોના પી.એમ.જે.એ.વાય- મા કાર્ડ,પોષણ કીટ વિતરણ કરાયું હતું. તેમજ નર્સીંગ એસોશિયેશન ગુજરાત રાજ્યના સહકારથી ૧૦૦ બેબી કીટ,૦૮ વ્હીલ ચેર,૦૨ ટ્રાઇસીકલનું વિતરણ પણ કરાયું હતું.
મહેસાણા અને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ઓર્થોપેડીક, સ્પાઇન અને પેરાપ્લેજીયા, ફીઝિયોથેરાપી, કુત્રિમ અંગોને લગતી બીમારીઓની સેવાઓ તથા રેફરલ સેવાઓ દત્તક લેવાના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
મહેસાણા અને વિસનગર સિવિલ હોસ્પિટલમાં જી.પી.આર.આઇ અમદાવાદના સહયોગથી કેન્સર ડે કેર સેન્ટર અને રેફરેલ સેવાઓ લેવાના એમ.ઓ.યુ થયા હતા.એન.એચ.એમ. હેઠળ ભરતી કરાયેલા નવા કોમ્યુનીટી હેલ્થ ઓફીસરો ફાર્માસીસ્ટોના નિમણૂંક પત્રો મહાનુંભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ સગર્ભા બહેનોની ફરજીયાત યુ.એસ.જી સોનાગ્રાફી માટેના એમ.ઓ.યુ થયા હતા.સિવિલ હોસ્પિટલ વિસનગર ખાતે આર્યુવેદિક ઓ.પી.ડીનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આઇ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. તેમજ ધારાસભ્ય કરશનભાઇ સોલંકીની ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. નર્સીગ એસોશિયેશન ગુજરાત રાજ્યના દાતાઓનું સન્માન કરાયુ હતું.સૌથી વધુ પી.એમ.જે. એ.વાય-મા ક્લેઇમ કરનાર મેડીકલ ઓફીસર્સ પી.એચ.સીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ પી.એમ.જે.એ.વાય મા કાર્ડ નીકાળનાર વી.સી.ઇ તેમજ સી.એસ.સી અને ફાયનાન્સ આસીસટન્ટને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ ઉપરાંત એન.ક્યુ. એ.એસ- LaQshya પ્રમાણપત્રોનું વિતરણ સહિત કુપોષણ નિવારણ માટેના શપથ લેવાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરશનભાઇ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા, કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ, આરોગ્યના સૌ કર્મચારીગણ અને વિવિધ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts