Select Page

કૃષ્ણનગર સંપના ૯ ઝોનમાં આંતરે દિવસે પાણીની સમસ્યા

કૃષ્ણનગર સંપના ૯ ઝોનમાં આંતરે દિવસે પાણીની સમસ્યા

ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓની મનમાનીથી ૪ કલાક સપ્લાય

  • પોતાની રહેણાંક સોસાયટી સાકાર બંગ્લોઝમાં પણ આંતરા દિવસે પાણી મળવા છતા શહેર ભાજપના પ્રમુખ ચુપ

વિસનગરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ભાજપનુ વર્તમાન બોર્ડ નિષ્ફળ ગયુ છે. શહેરમાં વારંવાર પાણીની મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. જોકે શહેરમાં પાણીની કટોકટી સર્જાવા પાછળ નર્મદા અને ધરોઈના અધિકારીઓ પણ એટલાજ જવાબદાર છે. પરંતુ મંત્રીશ્રીનુ શહેર હોવા છતા અધિકારીઓને કોઈનો ડર નથી. ધરોઈ જુથ યોજના દ્વારા ફક્ત ચાર કલાક પાણી આપવામાં આવતા અત્યારે કૃષ્ણનગર સંપના ઝોનમાં આંતરે દિવસે પાણી મળતા આ સમગ્ર વિસ્તાર ઉનાળામાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે.
નર્મદા અને ધરોઈ વિભાગના અધિકારીઓ મોટી રકમના હપ્તા લઈને ગેરકાયદેસર કનેક્શનો આપતા ખચકાતા નથી. પ્રજાને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતી લાઈનોમાંથી હજુ પણ ગેરકાયદેસર કનેક્શનો હયાત છે અને અધિકારીઓના ખીસ્સામાં હપ્તાનો ધોધ વહી રહ્યો છે. જ્યારે જે લાઈનમાંથી લોકોને પીવાનુ પાણી પહોચી રહ્યુ છે તે ગેરકાયદેસર છે તેમ કહી અધિકારીઓ પાલિકા તંત્રનુ નાક દબાવી રહ્યા છે. પાલિકા અને પાણી પુરવઠા વિભાગની હુંસાતુંસીમાં પ્રજા હેરાન થઈ રહી છે. જેનો અદની નેતાગીરી તમાસો જોઈ રહી છે. નર્મદા યોજનાનુ પાણી શરૂ થતા ધરોઈનુ પાણી વિસનગરમાં બંધ કરવામાં આવ્યુ છે. ધરોઈ કોલોની કૃષ્ણનગર સંપમાં પાલિકા દ્વારા પાણી પુરવઠો પહોચતો કરવાની કોઈ લાઈન નહી હોવાથી ધરોઈની ગામડાની લાઈનમાંથી પાણી આપવામાં આવે છે. ધરોઈની લાઈનમાંથી કૃષ્ણનગર સંપમાં સવારે ૬-૦૦ થી સાંજે ૮-૦૦ કલાક સુધી ૧૦ કલાકમાં ૧૦ લાખ લીટર પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ. પરંતુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની સતર્કતાથી જ્યારથી ગેરકાયદેસર કનેક્શન પકડાયુ ત્યારથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા દ્વેષભાવ રાખીને યેનકેન પ્રકારે શહેરની જનતાને હેરાન કરવામાં આવી રહી છે.
કૃષ્ણનગર સંપમાંથી ૯ ઝોનમાં પાણી આપવામાં આવે છે. એક લાખ લીટરનો સંપ અને એક લાખ લીટરની ઓવરહેડ ટાંકી હોવાથી પાણી ચડાવવાની અને આપવાની કાર્યવાહી લગભગ આખો દિવસ ચાલે છે. અત્યારે ધરોઈના અધિકારીઓની મનમાનીના કારણે કૃષ્ણનગર સંપમાં ફક્ત ૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સંપમાં પાણી પહોચતુ કરવાની બીજી કોઈ વ્યવસ્થા નહી હોવાથી પાલિકા તંત્ર લાચાર બન્યુ છે. અગાઉ કરતા કૃષ્ણનગર સંપમાં ૪૦ ટકા ધરોઈનુ પાણી મળતુ હોવાથી આ ૯ ઝોનમાં આંતરા દિવસે પાણી મળી રહ્યુ છે. શહેરના અન્ય વિસ્તારમાં એક દિવસનો કાપ જ્યારે કૃષ્ણનગર સંપ વિસ્તારમાં આંતરા દિવસે પાણીની હાલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા ચાર રસ્તા પાસે શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા જે સોસાયટીમાં રહે છે તે સાકાર બંગ્લોઝ પણ કૃષ્ણનગર ઝોનમાં આવે છે. પરંતુ પાર્ટીની શીસ્તના કારણે આંતરે દિવસે પાણીની સમસ્યાથી પીસાતી પ્રજાની મુશ્કેલી બાબતે ચુપ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us