Select Page

ખેરાલુ APMCના ચેરમેન ભીખાલાલ ચાચરીયાને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર

ખેરાલુ APMCના ચેરમેન ભીખાલાલ ચાચરીયાને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર
  • ગુજરાત સરકારે ભીખાલાલ ચાચરીયાને પુરસ્કાર આપી સન્માન કર્યુ પરંતુ આજ સુધી શહેર/તાલુકાની એકપણ સહકારી સંસ્થાને તેમનું સન્માન કરવાનો વિચાર કેમ ન આવ્યો તે યક્ષ પ્રશ્ન છે

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૮-૭-ર૦ર૩ ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યની રરપ એ.પી.એમ.સી.ના ચેરમેન, વાઈસ ચેરમેન અને સેક્રેટરીઓનુ સંમેલન યોજાયુ હતુ. જે દર વર્ષે ગુજરાતમાંથી શ્રેષ્ઠ કામગીરી કરતી ત્રણ એ.પી.એમ.સી.ને પુરસ્કાર અપાય છે. જેમાંથી શૂન્યમાંથી સર્જન કરીને બીજી એ.પી.એમ.સી.ઓને પ્રેરણા પુરી પાડી છે તેના માટે ત્રણ એપીએમસી નું સન્માન કરાયુ જેમા ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખાલાલ ચાચરીયાને ગુજરાત રાજ્યની ખેરાલુ એપીએમસી જે ર૦૧૬માં બંધ હાલતમાં હતી ત્યારે ભીખાલાલ ચાચારીયાએ હાઈવે ટચની બે વીધા જમીન બજાર સમિતિને દાનમાં આપી પ્રેરણા રૂપ દાખલો બેસાડયો છે. જમીન દાનમાં આપ્યા પછી ર૦ર૧ મા અદ્યતન માર્કેટયાર્ડ ઉભુ કરી યાર્ડ સેલ ચાલુ કરી ખેડુતોના હિતમાં કરવામા આવેલ કાર્ય બદલ ગુજરાત સરકારનો સહકાર વિભાગ બિરદાવે છેતેવુ લખેલો પુરસ્કાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપાતા ખેરાલુ તાલુકાનુ ગૌરવ વધ્યુ છે. આ સંમેલનમા અમદાવાદના વિરમગામ પાસેના માંડલ અને ભરૂચના કોસમ્બા એપીએમસીઓનુ પણ સન્માન કરી એવોર્ડ અપાયો હતો.
ખેરાલુ એપીએમસી ર૦૧૬મા અલગ થઈ ત્યારે રેલ્વે સ્ટેશન પાછળ માર્કેટયાર્ડ સંપુર્ણ બંધ હાલતમાં હતુ ત્યારે એપીએમસીની ચુંટણી વખતે ભીખાલાલ ચાચરીયાએ ખેડુતોને વચન આપ્યુ હતુ કે આપણો માલ આપણુ બજાર જે અંતર્ગત હાઈવે ઉપર જમીન ખરીદી પોતાની બે વીધા જેવી બે કરોડની કિંમતની જમીન દાન કરી ઉત્તર ગુજરાતનું સૌથી મોટુ અદ્યતન માર્કેટયાર્ડ બનાવ્યુ તે બદલ ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને બચુભાઈ ખાબડની હાજરીમાં ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખાલાલ ચાચરીયાને અપાયો હતો. તે સમયે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનનુ સ્વપ્ન છે કે ખેડુતોની આવક બમણી કરવી જે દિશામાં કટીબધ્ધ છીએ વરસાદથી થતા નુકશાનના પાકો પલળી જતા સહાય ચુકવાઈ છે. જનધન દ્વારા ખેડુતોના ખાતામાં નાણા આવે છે બટાકાના ભાવ ઘટી જતા અમે સપોર્ટ ભાવ આપ્યા. એમ.એસ.પી દ્વારા રાયડો, ઘંઉ, મગફળી, તુવર અને બાજરી જેવા પાકોના ટેકાના ભાવો આપી ખેડુતોને સધ્ધર કરીએ છીએ તેમ જણાવ્યુ હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યની એપીએમસીમા હજુ બજારમા કુલ ઉત્પાદનના ર૦ ટકા જ માલ કૃષિ ઉત્પાદનોનુ આવે છે. હજુ ૮૦ ટકા માલ આવતો નથી જેથી શુ કરીએ તો ૧૦૦ ટકા માલ એપીએમસીઓ પાસે આવે તેવુ વિચારવાનુ છે. કૃષિ ઉત્પાદનોનુ વેલ્યુ એડિશન કરવુ એટલે કે ગ્રેડીંગ, શોર્ટીંગ અને પ્રોસેસિંગ દ્વારા કૃષિ ઉપજોના ભાવો વધુ મળે તેવુ કરવાનુ છે. જેવુ કે કેરી છે તો તેનો પલ્પ, અથાણા બનાવીએ, મગફળી હોય તો તેનુ તેલ બને તે માટે અમુલ ફેડરેશનની જેમ બજાર સંઘ બનાવી એકબીજા એપીએમસીનુ ઉત્પાદન વેચવા દરેક એપીએમસીમા સ્ટોર શરૂ કરાશે. જે રીતે રામદેવજીના સ્ટોરમાં તમામ ઉત્પાદનો મળે છે. તેમ સહયોગની જેમ તમામ ખેત પેદાશની પ્રોડકટ બનાવી વેચવામા આવશે. આ પ્રોડક્સ દ્વારા જે આવક થશે તેને એપીએમસી બજાર સંઘના માધ્યમથી ખેડુતોને દૂધ ઉત્પાદનની જેમ દર વર્ષે નફો વહેચશે. જેનાથી ખેડુતોની સધ્ધરતા વધશે. હાલમાં ત્રણ એપીએમસીઓએ શૂન્યમાંથી સર્જન કરી બીજા માટે જે પ્રેરણા પુરી પાડી છે જેથી ત્રણ એપીએમસીઓનુ સન્માન કરી રહ્યા છીએ. દર વર્ષે આવી ત્રણ એપીએમસીનુ સન્માન કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ નેતાઓમાં વેરઝેરનુ પ્રમાણ ચરમ સીમાએ પહોચ્યુ છે. વિરોધ પક્ષનો વ્યક્તિ સારી સલાહ આપે છે.જે ખરેખર લોક ઉપયોગી હોય છતા તેનો વિરોધ કરવો અને સામેના નેતાને બદનામ કરવો તેવી પરંપરા શરુ થઈ છે જેથી ખેરાલુ અને સતલાસણા તાલુકાના વિકાસને નુકશાન થઈ રહ્યુ છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશને વિશ્વગુરુ બનાવવાના સારા નિર્ણયોને જે રીતે વિરોધ પક્ષો ખોટા આક્ષેપો કરી દેશના વિકાસમાં રોડા નાંખી રહ્યા છે તેજ રીતે ખેરાલુ-સતલાસણાના વિકાસને અડચણરૂપ થતા નેતાઓ દ્વારા ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખલાલ ચાચરીયાએ બનાવેલ અદ્યતન માર્કટયાર્ડને બિરદાવવાને બદલે તેમા ભ્રષ્ટાચાર થયો છે. એપીએમસી ટુંક સમયમા બંધ થઈ જવાની છે જેવી અફવાઓ દ્વારા અંતે તો ખેરાલુ શહેરનુ અને ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. વિરોધ પક્ષના વ્યક્તિ દ્વારા કરેલી સાચી ટકોરને પણ અવગણીને છેવટે તો ખેરાલુ શહેર/તાલુકાનુ અહિત થઈ રહ્યુ છે તે નેતાઓ જોતા નથી. ભીખલાલા ચાચરીયા દ્વારા બનાવેલ અદ્યતન માર્કેટયાર્ડ માટે ખેરાલુ શહેર કે તાલુકાની એક પણ સહકારી કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આજદીન સુધી તેમનુ સન્માન કરાયુ નથી. પરંતુ સરકારતો માઈ-બાપ કહેવાય મા-બાપ પોતાના બાળકની સારી કામગીરીને કાયમ બિરદાવે છે તે રીતે ગુજરાત સરકારે ભીખાલાલ ચાચરીયાના અદ્યતન માર્કેટયાર્ડ બનાવવાના સરાહનીય પગલાને બિરદાવી પુરસ્કાર આપ્યો છે. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે પક્ષા-પક્ષી ભુલી સાચાને સહકાર અપાશે તો જ વિકાસ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us