Select Page

અયોધ્યા રામ મંદિરથી પૂજા કરીને આવેલ અક્ષત કુંભ અર્પણ કરવામાં આવ્યા વિસનગરમાં ઘેર ઘેર અક્ષત-શ્રીરામનો ફોટો-પત્રિકા વિતરણ થશે

અયોધ્યા રામ મંદિરથી પૂજા કરીને આવેલ અક્ષત કુંભ અર્પણ કરવામાં આવ્યા વિસનગરમાં ઘેર ઘેર અક્ષત-શ્રીરામનો ફોટો-પત્રિકા વિતરણ થશે

૫૦૦ વર્ષ પછી અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓ રામમય બની ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ.ના સામાન્ય કાર્યકરથી માંડીને અદના નેતાઓ વર્ષો બાદ મંદિરમા સ્થાન પામનાર શ્રીરામના મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસાર-પ્રચારના કામે લાગી ગયા છે. અયોધ્યાથી પુજા કરેલા અક્ષત કુંભ દેશના દરેક ખુણે પહોચી ગયા છે. વિસનગરમા અક્ષત કુંભ આવતા શહેર અને તાલુકાના દરેક હિન્દુના ઘરે અક્ષત (ચોખા), શ્રીરામનો ફોટો તથા પત્રિકા પ્રસાદી રૂપે પહોચાડવામાં આવશે. પ્રતિષ્ઠા દિન ૨૨મી જાન્યુઆરીએ શહેરમા દિવાળી જેવો માહોલ બનાવવા હાકલ કરવામાં આવી છે.
અયોધ્યામાં નિર્માણ થયેલ શ્રીરામ મંદિરના મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશના હિન્દુઓ જોડાય તે માટેનુ અભુતપુર્વ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ. દ્વારા કરવામાં આવ્યુ છે. અયોધ્યામાથી પુજા થયેલા અક્ષત (ચોખા) ઘરે ઘેર પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે માટે અક્ષત કળશ યાત્રા પણ નિકળી ચુકી છે. વિસનગર જીલ્લાના કુકરવાડા પ્રખંડના ઉદલપુર મંડળના પાંચ ગામોમાં અક્ષત કુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અક્ષત કુંભ યાત્રા ઉદલપુરમા પહોચતા ગ્રામજનોએ ડી.જે.સાથે ભવ્ય સામૈયુ કરી સ્વાગત કર્યુ હતુ. વિસનગર શહેર અને તાલુકાના ગામડા માટે ગુરૂકુળ સ્કુલમા અક્ષત કુંભ સોપવામાં આવ્યા છે. અયોધ્યાથી પુજા થયેલા અક્ષત કુંભ શહેરના મંદિરોને અર્પણ કરવામાં આવ્યા છે. આ મંદિરોના નજીકના વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કાર્યકરો શહેરના દરેક હિન્દુ વિસ્તારમાં ફરી દરેક ઘેર શ્રીરામનો ફોટો તથા પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનુ આમંત્રણ આપવા આંગણે આવનાર કાર્યકર શ્રીરામ ભક્તોને આવકાર આપવો આપણા સૌની ફરજ થઈ પડે છે.
અયોધ્યા શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે વિસનગર જીલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ છે કે તા.૨૨મી જાન્યુઆરીએ સમગ્ર દેશ માટે નહી પણ વિશ્વ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. વર્ષોની લડત અને તપશ્ચર્યા બાદ અયોધ્યામાં શ્રીરામની મુર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ દિવસ દરેક હિન્દુ પરિવાર માટે ગૌરવપુર્ણ ક્ષણ છે. ૨૨મી જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનુ વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે (સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી) ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રીત કરજો, ભજન કીર્તન કરજો, ટેલિવિઝન અથવા એલઈડી સ્ક્રીન લગાવીને અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખ ધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવુ.
કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી-દેવતાના ભજન, કીર્તન, આરતી, પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય રામ’ વિજય મહામંત્ર ૧૦૮ વાર સામુહિક જાપ કરજો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્ત્રોત વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દુરદર્શન દ્વારા સીધુ જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સુર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકુળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારવા જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us