Select Page

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બની
નૂતન હોસ્પિટલ બનાસકાંઠાના દર્દિ માટે દેવદૂત બની
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરની નૂતન હોસ્પિટલના તબીબો બનાસકાંઠાના દર્દી ચંપકલાલ માટે દેવદૂત સાબિત થયા છે. કમરના ભાગમાં મણકાની ગંભીર પ્રકારની તકલીફ થી પીડાઇ રહેલા ૪૫ વર્ષીય ચંપકભાઇ સવજીભાઈને નૂતન હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કર્યા છે.
કમરના મણકામાં રસી ફેલાવાના કારણે ગંભીર તકલીફથી પીડાઇ રહેલા ચંપકભાઇને પીડામુક્ત કર્યા
બનાસકાંઠાના વિરમપૂરમાં રહેતા ચંપકભાઇને છેલ્લા પાંચ મહિનાથી કમરના મણકામાં ગંભીર પ્રકારના દુખાવાની ફરીયાદ હતી. જેના કારણોસર તેમને હલન – ચલનમાં તકલીફ થઇ રહી હતી. વિસનગરની નૂતન હોસ્પિટલ દ્વારા વિરમપૂર ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ચંપકભાઇ પણ આ કેમ્પમાં નિદાન અર્થે ગયા હતા. ઘરઆંગણે યોજાયેલ આ કેમ્પમાં ચંપકભાઇના કમરનાભાગમાં ઉદ્‌ભવેલી તકલીફનું નિદાન થયું. ચંપકભાઈ કૅમ્પમાં આવ્યા ત્યારે વ્હીલ ચેર ના સહારે આવ્યા હતા. તેમની પીડા એટલી ગંભીર હતી કે જેની સારવાર – સર્જરી માટે નૂતન હોસ્પિટલમાં આવવાનું કહેવામાં આવ્યું. આવી સમસ્યાની સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે જે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ચંપકભાઇ જેવા દર્દી માટે અત્યંત મુશ્કેલ બની રહે છે. ચંપકભાઇ જોડે પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા કાર્ડ હતું. જેથી તેઓ આ કાર્ડ સાથે નૂતન હોસ્પિટલ આવી પહોંચ્યા. હોસ્પિટલમાં તેમનું એમ.આર.આઇ. કરવામાં આવ્યું જેમાં D-10 L-1 મણકામાં રસી હોવાનું નિદાન થયું. જેના કારણોસર કમરની આસપાસના ભાગમાં પણ રસીનો ભરાવો જોવા મળ્યો. જે કારણોસર તેમની સર્જરી કરવી જરૂરી બની રહ્યું.
નૂતન હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ અને ઓર્થોપેડિક સર્જન ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી.આ સર્જરીમાં ખામીયુક્ત મણકામાં આઠ સ્ક્રુ અને ૨ સળીયા ફીટ કરીને મણકાને સ્થિર કરીને રસીનો ફેલાવો અટકાવવામાં આવ્યો. ભારે જહેમતના અંતે સર્જરી સફળ રહી અને ચંપકભાઇ પીડામુક્ત બન્યા. ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૨ થી ૩ લાખ રૂપિયાના ખર્ચે થતી સમગ્ર સારવાર અને સર્જરી પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા કાર્ડ હોવાના કારણે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ બનતા ચંપકભાઇ અને તેમના પરિવારજનોએ
સરકારનો આભાર માન્યો. ચંપકભાઈ હોસ્પિટલમાં આવ્યા ત્યારે વ્હીલચેરના સહારે આવ્યા હતા . જ્યારે સર્જરી બાદ તેઓ પોતાના પગ પર ચાલીને સ્વગૃહે પરત ફર્યા છે. જો સમયસર તેમની સર્જરી કરવામાં ન આવી હોત તો તેમને લકવો થવાની સંભાવનાઓ પ્રબળ હતી તેવું તબીબોનું કહેવું છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us