Select Page

ગુજરાતમાં વડાપ્રધાને વિકાસનો મજબુત પાયો નાખ્યો-CM ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતમાં વડાપ્રધાને વિકાસનો મજબુત પાયો નાખ્યો-CM ભૂપેન્દ્રભાઈ પટેલ

વિસનગરમાં મુખ્યમંત્રીની નૂતન વર્ષે રૂા.૧૦૯ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

  • ગુજરાત સરકારે માતબર ખર્ચની ચિંતા કર્યા વગર સમાજના દરેક વર્ગના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી છે. જેમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે
  • તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે દિકરીઓ, કિશોરીઓ અને સગર્ભાઓ કુપોષણ અને એનિમિયામુક્ત બને તે અતિ આવશ્યક

વિસનગર પાલડી ત્રણ રસ્તા પાસે આવેલ એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે ગુરૂવારના રોજ રૂા.૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગના આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ૪૩ જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની રક્ત તુલા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસનો મજબૂત પાયો નંખાયો હતો. જેના ફળ રૂપે આજ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે પ્રજા માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્ય પ્રજાનો પણ વિકાસ થયો છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો માટે સઘન આયોજન કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ આજના અવસરને “વિકાસ ઉત્સવ” ગણાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો નિર્માણ પામી છે. ગામડાઓમાં રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે તમામ નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. ત્યારે આપણે બધા વિકસિત ભારતના અને વિકસિત ગુજરાતના નિર્માણ તેમને સહયોગ આપીએ. અમૃતકાળમા છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરીયાતમંદ તમામ લાભાર્થીઓ સુધી સરકારી યોજનાના લાભો પહોચાડવાના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ ભાઈબીજના દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુ. જેના ભાગરૂપે આજે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યુ કે, ભારત દેશનું વિશ્વભરમાં ગૌરવ વધ્યું છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આપણે સૌ નાગરિકો કટિબદ્ધ બનીએ. આ સાથે તેમને આઝાદીથી મળેલા સ્વરાજને હવે સુરાજ્યમાં પરિવર્તિત કરવા જણાવી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કર્યુ હતુ.
જ્યારે વિસનગર ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આજના કાર્યક્રમમાં જિલ્લાના લોકોની સેવા માટે સરકારે રૂા.૧૦૯ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં બાળકો, કિશોરીઓ, દિવ્યાંગજનો સહિત સમાજના જરુરીયાતમંદ લોકોને દાતાઓ તરફથી આશરે રુ.૩૦ થી ૪૦ કરોડની વિવિધ સહાયનું દાન મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો. જેના પગલે ગુજરાત સરકાર આજે ફક્ત વિકાસની જ વાતો કરે છે. આજે વડાપ્રધાનશ્રીએ દેશમાં કાશી વિશ્વનાથ, સોમનાથ, અંબાજી જેવા તીર્થ સ્થળોની કાયાપલટ કરીને આશરે રૂા.૧૦૦૦ કરોડના ખર્ચે તારંગા, ધરોઇ, વડનગરના ઐતિહાસિક સ્થળોને પ્રવાસન સ્થળ બનાવવાનું તેમજ અંબાજી-આબુ રોડ રેલ્વે લાઇનના આયોજન થકી પરિવહન સેવાને સરળ બનાવવાની સાથે ઔધોગિક અને રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે. નરેન્દ્રભાઈ લાંબા ગાળાની રાજનીતિ સાથે દેશમા વિકાસ કામો કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખર્ચાની પરવા કર્યા સિવાય સમાજના દરેક વર્ગના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્યનું એકપણ તળાવ પાણી વિહોણું ખાલીખમ ન રહે અને પાણીના સ્તર ઉંચા આવે તેવા પ્રયાસો હાથ ધરીને ગુજરાતના ખેડૂતોને વધું સમૃદ્ધ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગામેગામ લોકોને નર્મદાનુ પાણી મળતુ થયુ છે. વધુમાં મંત્રી ઋષિભાઈ પટેલે સમાજના અગ્રણીઓને તેમના શેરી, મહોલ્લા અને ગામને કુપોષણ મુક્ત બનાવવા આહ્‌વાન કરતા જણાવ્યું કે, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે દિકરીઓ, કિશોરીઓ, સગર્ભાઓનુ કુપોષણ આને એનિમિયા મુક્ત હોવું અતિ આવશ્યક છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે મહેસાણા જિલ્લાની C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે નવીન ૬૨ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી તથા રૂા.૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. ૩૬.૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં રૂ. ૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને રૂ. ૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ ઉપરાંત્ત મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કુપોષણ નિવારણ માટે લાભાર્થી બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ સંગઠનના કાર્યકર ભાઈ-બહેનોએ માથે કેસરી સાફામાં સજ્જ થઈ લોકોને આકર્ષિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, અગ્ર સચિવશ્રી ધનંજય દ્વિવેદી, કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમપ્રકાશ, પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, વિસનગર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદી, ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, જીલ્લા પંચાયત શિક્ષણ પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન મિનાબેન પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય ભૂમિકાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર અંકિતભાઈ પટેલ, સહકારી અગ્રણી હીરેનભાઈ પટેલ (વાલમ), સામાજીક કાર્યકર કમલેશભાઈ જીવાભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ જનકબા ચાવડા, પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, વર્ષાબેન પટેલ, પિના બેન શાહ, વિષ્ણુજી ઠાકોર સહીત પાલિકા સભ્યો, વિસનગર એપીએમસીના ડીરેક્ટરશ્રીઓ, તાલુકા સંઘના ડીરેક્ટરશ્રીઓ, અધિકારીઓ, સખી મંડળની બહેનો, આંગણવાડી કાર્યકરો સહીત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us