Select Page

પાલિકા રોડ નહી બનાવતા ટ્રેક્ટરમાં પહોચી વિરોધ કર્યો

પાલિકા રોડ નહી બનાવતા ટ્રેક્ટરમાં પહોચી વિરોધ કર્યો

ટેન્ડરીંગ બાદ બે વર્ષથી કામ નહી થતા હવે ધિરજ ખુટી

  • મને કોઈ રસ નથી તેવુ કહેનાર બાંધકામ ચેરમેનને રાજીનામુ આપી દેવા જણાવ્યુ
  • તાત્કાલીક ટેન્ડરીંગ નહી થાય તો લોકસભામાં મતદાનથી અળગા રહેવાની ચીમકી

વિસનગર પાલિકાના ખોરંભાયેલા વહિવટથી ટેન્ડરીંગ થવા છતા બબ્બે વર્ષથી વિકાસ કામ નહી થતા હવે લોકોની ધિરજ ખુટી છે. સતકૃપા સોસાયટીમાં રોડ નહી બનતા સોસાયટીના રહિસો ટ્રેક્ટરમાં બેસી સ્થાનિક કોર્પોરેટરોના નિવાસ્થાને પહોચ્યા હતા. બાંધકામ ચેરમેનને ફોન કરવામાં આવતા મને કોઈ રસ નથી તેવુ કહેતા રોષે ભરાયેલા લોકોએ રાજીનામુ આપી દેવાની સલાહ આપી હતી. બીજા દિવસે પાલિકામાં પહોચેલા રજુઆતકર્તાઓને કોર્પોરેટરો અને ચીફ ઓફીસરે તાત્કાલીક રોડ બનાવવાનુ આશ્વાસન આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે. તાત્કાલીક ટેન્ડરીંગ નહી થાય તો લોકસભાની ચુંટણીમાં મતદાનથી અળગા રહેવાની પણ ચીમકી આપવામાં આવી છે.
વિસનગર પાલિકાની કોન્ટ્રાક્ટરોને આળપંપાળ કરવાની નીતિ રીતીના કારણે ધરોઈ કોલોની જેવા જાહેર રોડ ઉપર ઝડપથી કામ થતા નથી તો ક્યાંક વર્ક ઓર્ડર આપવા છતા કોન્ટ્રાક્ટર દેખાતા નથી. વિકાસ કામની કથયેલી પરિસ્થિતિના કારણે હવે લોકોની ધિરજ ખુટી છેકે ક્યા સુધી રાહ જોવાની. કડા રોડ ઉપર આવેલ સતકૃપા સોસાયટીનો રોડ બે વર્ષથી મંજુર થયો છે. જેનુ ટેન્ડરીંગ પણ થઈ ગયુ છે. પરંતુ રોડનુ કામ થતુ નથી. સોસાયટીના રહિસો દ્વારા વોર્ડ નં.૭ ના કોર્પોરેટરો અને પાલિકામાં રજુઆત કરતા ટુંક સમયમાં રોડ બનશે તેવા ખોટા આશ્વાસન આપવામાં આવે છે. રજુઆત કરીને થાકેલા સોસાયટીના રહિસો મંગળવારની રાત્રે ટ્રેક્ટરમાં બેસી વોર્ડ નં.૭ ના કોર્પોરેટરોના નિવાસ્થાને વિરોધ પ્રદર્શન માટે નિકળ્યા હતા. ટેન્ડરીંગ થવા છતા રોડ નહી બનતા રોષે ભરાયેલા રહિસો વોર્ડ નં.૭ ના કોર્પોરેટર મેહુલભાઈ પટેલના નિવાસ્થાને પહોચ્યા હતા. અન્ય કોર્પોરેટરોના નિવાસ્થાને હોબાળો થાય તે પહેલા મેહુલભાઈ પટેલે કોર્પોરેટર કૈલાસબેન સથવારાના પતિ ગૌતમભાઈ સથવારાને પણ બોલાવી લીધા હતા. આ કોર્પોરેટરોએ જેને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે તે ઓરબીસ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાથી રોડ બનતો નથી તેમ જણાવી ટુંક સમયમાં રોડ બનાવવા હૈયાધારણા આપી હતી. સતકૃપા સોસાયટીના રહિસોએ બાંધકામ ચેરમેન જે.ડી.પટેલનો સંપર્ક કરતા આ ચેરમેને જણાવ્યુ હતુ કે મને કોઈ રસ નથી અને પાલિકામાં પણ આવતો નથી. ત્યારે રહિસોએ બાંધકામ ચેરમેનને કામ ન કરવુ હોય તો રાજીનામુ આપવા જણાવ્યુ હતુ.
તા.૨૮-૨-૨૦૨૪ ને બુધવારના દિવસે સતકૃપા સોસાયટીના રહિસો પાલિકામાં રજુઆત માટે પહોચ્યા હતા. જ્યા વોર્ડ નં.૭ ના કોર્પોરેટર મેહુલભાઈ પટેલ, કૈલાસબેન સથવારાના પતિ ગૌતમભાઈ સથવારા અને પિતાંબરભાઈ સીંધીએ રજુઆત સાંભળી હતી. ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી હાજર નહી હોવાથી ટેલીફોનીક સંપર્ક કરતા તાત્કાલીક ટેન્ડરીંગ કરવા આશ્વાસન આપ્યુ હતુ. ત્યારે સોસાયટીના રહિસોએ રોષ ઠાલવ્યો હતો કે તાત્કાલીક ટેન્ડરીંગ કરવામાં નહી આવે તો લોકસભાની ચુંટણીમાં મતદાનથી અળગા રહીશું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us