Select Page

સદુથલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની પ્રજાલક્ષી કાર્યશૈલીની ભારોભાર પ્રશંસા કરીઆરોગ્ય મંત્રીએ આરોગ્યલક્ષી સુવિધા આપવાનુ ઉમદા કાર્ય કર્યુ છે

સદુથલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની પ્રજાલક્ષી કાર્યશૈલીની ભારોભાર પ્રશંસા કરીઆરોગ્ય મંત્રીએ આરોગ્યલક્ષી સુવિધા આપવાનુ ઉમદા કાર્ય કર્યુ છે

વિસનગર તાલુકાના સદુથલા ગામે રવિવારે સવારે વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયુ હતુ. જેમાં કોઈ જ પુર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોચતા તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓને આશ્ચર્ય થયુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ગામેગામ જનજન સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વિકસીત યાત્રાનો રથ વિસનગર તાલુકાના ગામેગામ ફરી રહ્યો છે. જેમાં સદુથલા ગામે ગત રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે વિકસીત ભારત યાત્રા રથનું આગમન થયુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કદાચ હાજર રહેશે તેવા સમાચાર મળતા તાલુકાના અધિકારીઓ અને કેટલાક પદાધિકારીઓ આગળના દિવસે મોડીરાત્રી સુધી કાર્યક્રમના સ્થળે હાજર રહી તડામાર તૈયારીઓ કરી હતી. અધિકારીઓ સવારે વહેલા કાર્યક્રમ સ્થળે આવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કાર્યક્રમનો સમય થવા છતાં મુખ્યમંત્રી નહી આવતા મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવશે કે નહી તેની અટકળો શરૂ થઈ હતી. અધિકારીઓ કાર્યક્રમ શરૂ કરવો કે નહી તેની અવઢવમાં હતા. આ દરમિયાન આશરે ૧૦-૩૦ કલાકે અચાનક મુખ્યમંત્રી
ભુપેન્દ્રભઆઈ પટેલ પોલીસ કાફલા સાથે કાર્યક્રમમાં આવી પહોંચતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતુ. ગ્રામજનોએ
મુખ્યમંત્રીનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામેગામ ઘર ઘર સુધી પહોંચાડવા તા.૧૫-૧૧-૨૦૨૩ થી સમગ્ર દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આ વિકસીત યાત્રાથી ગામડાના છેવાડા વિસ્તારમાં રહેતા નાગરિકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. જ્યારે વિરોધપક્ષના લોકોને કોઈપણ ચુંટણી આવે ત્યારે પ્રજાની મુશ્કેલીઓ યાદ આવે છે. સરકારે વાયબ્રન્ટ ગુજરાતના આયોજન થકી શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનું કામ કર્યુ છે. સરકારના પ્રયત્નોથી આજે દુનિયાની ૫૦૦ મોટી કંપનીઓમાં ૧૦૦ કંપની ગુજરાતમાં છે. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની આરોગ્યલક્ષી કાર્યશૈલીની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, મંત્રી ઋષિભાઈ પટેલે ગુજરાતના નાગરિકોને સરકારી યોજનામાં સારી સુવિધાઓ સાથે આરોગ્યલક્ષી સેવા આપવાનુ ઉમદા કાર્ય કર્યુ છે. અને આજે પણ કરી રહ્યા છે. સરકારના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ હેઠળ લોકોને રૂા.૧૦ સુધીની વિનામુલ્યે સારવાર મળી રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે વાતચીત કરી સરકારની વિવિધ યોજનાનો લાભ મળ્યો છે કે નહી તેવો પ્રશ્ન કરી ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિસનગર એચ.પી.ગેસ એજન્સી દ્વારા સરકારની ઉજાલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો હતો અને વિકસીત ભારત યાત્રા દ્વારા તાલુકાના દરેક ગામના લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. છતાં જો કોઈ લાભાર્થીને ઉજાલા યોજનાનો લાભ ન મળ્યો હોય તો તેઓ વિસનગર એચ.પી.ગેસ એજન્સીનો સંપર્ક કરે તેવી એજન્સીના સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર ઈલાબેન ઉપાધ્યાય, ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડા, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ (દેણપ), પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડા.આર.ડી.પટેલ, ગામના અગ્રણી નટુભાઈ પટેલ, તાલુકા ડેલીગેટ ભુમિબેન મિતેશભાઈ પટેલ, તાલુકા ડેલીગેટ સરોજબેન એમ. પ્રજાપતિ, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલ (ગુંજાળા), સુંશી સરપંચ મહેશભાઈ પટેલ, કડાના પુર્વ સરપંચ જશુભાઈ ચાવડા, તાલુકા પંચાયતના નાયબ ટી.ડી.ઓ. રોહિતભાઈ રાવલ, મિશન મંગલમ યોજનાના ટી.એલ.એમ. જયશ્રીબેન રાવલ, મુકેશભાઈ પ્રજાપતિ, રજનીભાઈ પટેલ સદુથલા (ખોડીયાર), એસ.બી.એમ. શાખાના રિગ્નેશભાઈ જોષી, ગૌરવભાઈ પરમાર (મિશન મંગલમ) સહિત તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તથા આરોગ્યખાતાના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us