Select Page

વિસનગર પુરવઠા શાખામાં વચોટીયાઓની બોલબાલાની ચર્ચા

વિસનગર પુરવઠા શાખામાં વચોટીયાઓની બોલબાલાની ચર્ચા

વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં છેલ્લા ઘણ સમયથી વચોટીયા રાજ ચાલે છે. વચેટીયા વગર રેશનકાર્ડને લગતા કામો થતા નહી હોવાનું અરજદારોમાં ચર્ચાય છે. ત્યારે રાજ્યના એ.સી.બી.ના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ શાખામા ઓચિતા પગલા કરે તો આ કચેરીમાંથી વચોટીયા રાજ દુર થાય તેમ છે. તેવુ અરજદારો જાહેરમાં કહી રહ્યા છે.
અત્યારે સરકારી કચેરીઓમાં મોટાભાગના કામો લેતીદેતીના વ્યવહાર વગર થતા ન હોવાનું લોકો જાણે છે. જેના કારણે લોકો પોતાનું કામ ઝડપી કરાવવા માટે જે તે ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને લક્ષ્મીજીના દર્શન કરાવવા મજબુર થાય છે. જોકે આવા ભ્રષ્ટ અધિકારી સામે ઉચ્ચ કક્ષાએ રજુઆત નહી થતા તેમને ટેબલ નીચેની આવક લેવાનો ચસકો પડી જાય છે. તાજેતરમાં વિજાપુર મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓ એ.સી.બી.ના છટકામાં ફસાયા હતા. અગાઉ વિસનગર મામલતદાર કચેરીમાં એક નાયબ મામલતદાર રૂા.૨૦૦૦ની લાંચમાં એ.સી.બી.ના છટકામાં ફસાતા વચોટીયા ગાયબ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં વચોટીયા રાજ ચાલી રહ્યુ હોવાનું ચર્ચાય છે. અરજદારોમા એવી ચર્ચા છે કે, અત્યારે પુરવઠા શાખામાં દર સોમવાર અને ગુરૂવારના દિવસે રેશનકાર્ડમાં સુધારા-વધારા, નામ કમી, નામ દાખલ જેવી રેશનકાર્ડને લગતી કામગીરી થાય છે. જેથી શહેર અને ગામડાના લોકોનો બંન્ને દિવસે ભારે ઘસારો રહે છે. સોમવાર અને ગુરૂવાર સિવાય રેશનકાર્ડને લગતી કામગીરી કરવામાં નહી આવતા કેટલાક અરજદારો પોતાનું કામ ઝડપી કરાવવા કચેરીમાં ફરતા વચોટીયાનો આશરો લે છે. ત્યારે આ વચોટીયા અરજદારનુ ફોર્મ ભરી રેશનકાર્ડને લગતુ તમામ કામ તાત્કાલિક કરાવી આપે છે. જેના કારણે અત્યારે પુરવઠા શાખામાં નાયબ મામલતદાર કરતા વચોટીયાની ભારે બોલબાલા છે. ગરીબ અને અજ્ઞાન અરજદારોતો વચોટીયાને સાહેબ કહીને બોલાવે છે. જોકે આ બાબતે પુરવઠા નાયબ મામલતદાર પ્રિયંકાબા ચાવડા અજાણ છે કે નહી તે તો રામ જાણે? પરંતુ અત્યારે અરજદારોમાં થતી ચર્ચા પ્રમાણે રાજ્યના એ.સી.બી.ના કોઈ અધિકારી પુરવઠા શાખામાં ઓચિંતા પગલા કરે તે ખુબજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us