Select Page

વિસનગર એ.પી.એમ.સી.માં કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો
વિસનગરના વિકાસની જવાબદારી ચુંટાયેલા હોદ્દેદારોની છે-ઋષિભાઈ પટેલ

વિસનગર એ.પી.એમ.સી.માં કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો<br>વિસનગરના વિકાસની જવાબદારી ચુંટાયેલા હોદ્દેદારોની છે-ઋષિભાઈ પટેલ

વિસનગર શહેર-તાલુકા ભાજપ સંગઠન દ્વારા ગત રવિવારના રોજ એ.પી.એમ.સી. ના સરદારગંજમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ કાર્યકર્તાઓનો ‘આભાર દર્શન’ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે ખાસ હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જો કે આ કાર્યક્રમમાં વિધાનસભાની ચુંટણીમાં પડદા પાછળ ઋષિભાઈને હરાવવાની ભૂમિકા ભજવનાર કેટલાક જયચંદો જોવા મળતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
• જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (આર.કે.) એ કાર્યકારોની રજુઆત ધ્યાને લઈ તેમના કામો કરવા મંત્રી ઋષિભાઈ પટેલને ભલામણ કરી હતી.
• ઋષિભાઈ પટેલે રાજકીય દ્વેષભાવ અને નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર પ્રજાના કરેલા કામો અને તેમના સરળ સ્વભાવના કારણે સતત ચોથી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા છે- રાજુભાઈ પટેલ (આર.કે)
• ગુજરાત સરકારે આગામી પાંચ વર્ષમાં પ્રજાના કયા કામો કરવાના છે તેની તૈયારી કરી દીધી છે- મંત્રી ઋષિભાઈ પટેલ
આ કાર્યક્રમમાં મંત્રી ઋષિભાઈ પટેલે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચુંટણીમાં દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપુર્વક બુથ લેવલે કામ કર્યુ હતુ. ભાજપના કાર્યકરોએ રાત-દિવસ પરસેવો પાડીને ચુંટણીમાં મને જંગી બહુમતીથી જીતાડયો છે. કાર્યકરોની મહેનતથી આજે હું ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રીના મહત્વના પદ સુધી પહોચ્યો છુ. ભાજપના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યકરોની કયારેય તુલના થઈ ના શકે. ઘણા સમયથી કાર્યકરોને મળવાની મારી ઈચ્છા હતી પરંતુ સરકારમાં મારી પાસે ત્રણ ખાતાની જવાબદારી હોવાથી કામની વ્યસ્તતાના કારણે હું કાર્યકરોને મળી શકતો નહતો. ભાજપના કાર્યકરોની તનતોડ મહેનતથી વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપને ૧૮ર માંથી ૧પ૬ સીટો મળી છે. જો કે બાકીની સીટોંમા કોઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે ભાજપ પાર્ટીનો વિરોધ નહતો. પરંતુ આંતરિક જૂથવાદના કારણે ભાજપ કેટલીક સીટો જીતી શકી નથી. જો આગામી દરેક ચુંટણીમાં તમે કમળને જીતાડશો તો ભારત દેશને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહી શકે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે. જે યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધનું સમાધાન કરાવી શકે તેવું આજે દુનિયા માનતી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અડગ નિર્ણયો અને પ્રજાલક્ષી કામોના કારણે ગત લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપને ર૬ માંથી ૨૬ બેઠકો મળી હતી. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોચાડવાનું કામ ભાજપે કર્યુ છે. ભાજપ સરકારે ગરીબો અને ખેડુતોની સતત ચિંતા કરી છે. સરકારની જન કલ્યાણકરી યોજનાઓનો લાખ્ખો લાભાર્થીઓએ લાભ લીધો છે. અત્યારે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આવનારા પાંચ વર્ષમાં પ્રજાના કયા કામો કરવાના છે તેની તૈયારી કરી છે. આગામી સમયમાં સરકાર દરેક ગામોમાં અનેક વિકાસ કામો કરવાની છે. હું માર્ચ પછી દરેક ગામોમાં નાના-મોટા કામો માટે અધિકારીઓ સાથે મિટીંગો કરી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવાનો છું. વધુમાં મંત્રી શ્રીએ ચુંટાયેલા હોદ્દેદારોને જણાવ્યુ હતુ કે તમે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની કયારેય અવગણના કરતા નહી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં વિકાસના કામોમાં અડચણ ઉભી ન થાય તેની જવાબદારી ચુંટાયેલા હોદ્દેદોરોની છે તેવુ કહી વિવાદ કરનાર ચુંટાયેલા હોદ્દેદારોને આડકતરી રીતે ટકોર કરી હતી. વધુમાં મંત્રીશ્રીને આવનારી ગ્રામપંચાયતોની ચુંટણીમાં જે ગામના આગેવાનો ગામમાં વિકાસકામો કરવા તત્પર હોય તેઓને ચુંટણી લડવાની સલાહ આપી હતી. જયારે વિસનગરના ભામાશા કહેવાતા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે મંત્રી ઋષિભાઈ પટેલે રાજકીય દ્રેષભાવ અને જ્ઞાતિવાદ રાખ્યા વગર તાલુકાની જનતાના કરેલા કામો અને તેમના સરળ સ્વભાવના કારણે તેઓ સતત ચોથી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. જે આપણા બધા માટે ગૌરવ કહેવાય. ઋષિભાઈ ગમે તેટલા કામમાં વ્યસ્ત હોવા છતા પ્રજાના ફોન ઉપાડી તેમની રજુઆતો સંતોષી છે. ઋષિભાઈ માત્ર સવા વર્ષ માટે સરકારમાં કેબિનેટ મંત્રી બનતા તાલુકામાં આશરે રૂા.રપ૦૦ કરોડના વિકાસ કામો કર્યા હતા. જેના કારણે વિધાનસભાની ચુંટણીમાં ઋષિભાઈને જીતાડવા માટે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે ભાજપના કાર્યકરો કોઈપણ ચુંટણી આવે ત્યારે પોતાની જવાબદારી નિભાવવા તૈયાર જ હોય છે. કાર્યકરોની મહેનતથી અત્યારે ઋષિભાઈ ગુજરાત સરકારમાં ફરીથી કેબિનેટ મંત્રી બની ત્રણ મહત્વના ખાતાની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે ઋષિભાઈ પાંચ વર્ષ સુધી ગુજરાતની પ્રજાના કામો કરે અને વિસનગરનું ગૌરવ વધારે તેવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ. વધુમાં રાજુભાઈએ કાર્યકરોની રજુઆત ધ્યાને લઈ તેમના કામો કરવા ઋષિભાઈને ભલામણ પણ કરી હતી. આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, સહકારી આગેવાન હિરેનભાઈ પટેલ (વાલમ), એ.પી.એમ.સી.વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, ડીરેક્ટર રાજુભાઈ ચૌધરી, પરેશભાઈ જે.પટેલ, જીલ્લા મંત્રી નેહાબેન દવે, જીલ્લા મહામંત્રી જે.એમ.ચૌહાણ, સામાજીક કાર્યકર કમલેશભાઈ જીવાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી(ગુંજાળા), પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ પટેલ સહીત શહેર-તાલુકા ભાજપ સંંગઠનના કાર્યકરો અને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેટલાક નારાજ કાર્યકરો લગ્ન સિઝનના બ્હાને ગેરહાજર રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ ડી.દેસાઈએ કરી હતી. કાર્યક્રમનું હૃદયસ્પર્શી એન્કરીંગ મહેશભાઈ પટેલ (સુંશી) એ કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us